Wednesday 29 September 2021

મન દર્પણ !



ત્રણ સહજ છતાં તીવ્રતમ એવી લાગણીઓએ–આવેગોએ 
મારા જીવનને દોર્યું છે, દુભાવ્યું છે અને વ્યથિત કર્યું છે. ઉમંગ અને આવેગના ઉમળકાથી ઉભરાતી આ લાગણીઓમાં મજબૂર થઈને હું તણાયો છું. 

આ ત્રણેય અનુભૂતિમાં મેં સહનશીલતાની પરાકાષ્ઠા વેઠી છે. જે આજેય મારો પીછો નથી છોડતી એ છે :

પ્રેમની ઝંખના અને અભિલાષા,
જ્ઞાનની ખોજ અને સમઝ,
માનવજાત માટેની અસહ્ય દયા, કરુણા અને દરિદ્રતા.


વાવાઝોડા જેવી તીવ્ર આ ત્રણ લાગણીઓએ વેદનાના ગહન મહાસાગર ઉપર મારા જીવનને આમતેમ ફંગોળ્યું છે. અનેક વાર હતાશાની હદ સુધી એને તે ખેંચી ગઈ છે. ભરતીના મોજાની જેમ મારી લાગણીઓને ઉશ્કેરી છે જે શમવાનું નામ નથી લેતી.

મેં પ્રેમ શોધ્યો, પ્રેમનું હાર્દ પામવાની કોશિશ કરી, એમાં એકાકાર થઈ જવા હું તલસ્યો, કારણ કે એની મસ્તી એટલી તો ઉત્કટ હોય છે કે, તેના થોડી ઘડીના આનન્દ ખાતર સમગ્ર જીવન કુરબાન કરવા હું તત્પર થાઉં. એના આવેગ અને સ્પંદનો ને પામવા હું સમર્પિત થઈ જાઉં.

આવી જ બીજી લાગણીને વશ થઈને મેં જ્ઞાનની ખોજ ચલાવી. માનવહૈયાનો તાગ લેવાનો પ્રયત્ન કર્યો, તારાઓ શા માટે ઝળહળે છે એ જાણવાની કોશિષ કરી. પાયથાગોરસના પ્રમેયોને પામવાનો પ્રયત્ન પણ કર્યો. જ્ઞાન અને પ્રેમ જેટલાં શક્ય બન્યાં, તેટલાં મને સ્વર્ગ પ્રતી દોરી ગયાં.



જ્યારે દયાએ હમ્મેશાં મને પુન: પૃથ્વીપટે પછાડ્યો છે. નાગાંભુખ્યાં બાળકો, જુલમગારના જુલમનો ભોગ બનતા શોષીતો અને જેઓ પોતાનાં સંતાનોને માથે અણગમતો બોજ બની રહ્યાં છે એવાં અસહાય વૃદ્ધોની વેદના અને આક્રંદની આ આખી દુનીયા માનવજીવન ખરેખર જેવું હોવું જોઈએ, એની કેવળ ઠેકડી ઉડાવે છે.’.......બર્ટાન્ડ રસેલ, ‘આત્મકથા’માંથી.



એક એક્ટીવિસ્ટ પણ એક લેખકની રુએ મારી રગ રસાતી રહે છે સામાજિક સમરસતાના પુરુષાર્થોમાં. સામાજિક અભ્યુદયની પ્રવુંત્તીઓએ મને અનુભવનું મબલખ ભાથું આપ્યું છે ને નિષ્ફળતાના બોધ પણ એણેજ કરાવ્યા છે. એટલેજ ગરીબાઈ પર લખનારા અને ગરીબી દુર કરવાની વાતો કરનારાઓને મેં હમેંશા પ્રવંચક જ માન્યા છે. મેં મારા સામાજિક કાર્યના ખપ લેખે મને જે યોગ્ય લાગ્યું તે અપનાવ્યું છે. જેમની વચ્યે હું જન્મ્યો, ઉછર્યો ને જીવ્યો ને જેમના દુખ-દર્દ મેં જોયા-જાણ્યા-વેઠ્યા ને વેંઢાર્યા,
એ વેદના-વ્યથાને મારી આસપાસ રચાતી સુખ-સુવિધાની દીવાલો મારાથી દુર નથી કરી શકી. ને માનું છું, એ જ મારા જીવતરની સિદ્ધિ છે. 

પ્રચલિત રૂપનો ધર્મ હવે મને સ્પર્શી શકતો નથી. પણ કોઈનીય આસ્થાને મારાથી અવગણાતી નથી. હરેકની આસ્થાનો પુરસ્કાર એટલે ધર્મ. હર હાલતમાં સહિષ્ણુ રહેવું ને માનવતાને માથે ચડાવવી એ જ મારો ધર્મ........સ્વ. જોસેફ મેકવાન. ઓથર એન્ડ એક્ટિવિસ્ટ.

પ્રેમની ઝંખના બચપણથી લઈને આજસુધી મારા જીવનની એક અતૃપ્ત અભિલાષા રહી છે. જેને પામવા મેં મારું સર્વસ્વ દાવે લગાવી દીધું. જ્ઞાનની ખોજ મારી અવિરત એવી વણથંભી યાત્રા છે. જેણે વાંચનના મહાસાગરમાં મને ગરકાવ કરી દીધો. તો માનવજાત માટેની અસહ્ય દયા મારા જીવનનો એક અભિન્ન ભાગ, એક પર્યાય બની ગઈ. આ ત્રણેયનો હાર્દ પામવાના મારા ઝનૂને મને જીવનની વાસ્તવિકતાના વિરાટ વટવૃક્ષ નીચે લાવી ઉભો કરી દીધો. વાસ્તવિકતામાં સમાયેલા સત્યને પામવા મેં વાસ્તવિકતાનું ચીરહરણ કર્યું ત્યારે સત્ય મારી સમક્ષ નગ્ન થઈને ઉભું રહ્યું..." લે જોઈ લે મને હું એજ સત્ય છું જેની તને ખબર છે છતાં શોધી રહ્યો છું."

સ્વ. જોસેફ મેકવાનનું કહેવું છે, પ્રેમને પામવા માટે પ્રેમાળ થવાની, સત્યને શોધવા માટે સાહસની અને રહસ્યને પામવા માટે જ્ઞાન પ્રાપ્તિની જરૂર છે.

અથાગ મહેનતે મેં જ્યારે આત્મવિશ્વાસ કેળવ્યો ત્યારે તેને સંપાદિત કરવાનો સમય વીતી ગયેલો. આંસુઓને રોકી આશાઓને મેં ગળે લગાવી ત્યારે નિરાશા પડછાયો બની મને ઘેરી વળી. જીત માટે મેં રસ્તો કંડાર્યો ત્યારે હાર મારી રાહ જોઇને ઉભેલી. પ્રેમ માટે જ્યારે હું તલસ્યો, ત્યારે તિરસ્કાર મારે આંગણે આવી ઉભો રહ્યો. સહારાની જ્યારે મને જરૂર પડી ત્યારે મારા પોતાનાજ મને તરછોડી ને જતા રહ્યા. 

બર્ટ્રાન્ડ રસેલ કહે છે, દિલની ઈચ્છા સામે લડતા રહેવું બહુ અઘરું છે , હૃદયને જે પ્રાપ્ત કરવું છે એ આત્માને વેચીને પણ પ્રાપ્ત કરી લે છે. 

પથ્થર દિલે આંસુઓને જ્યારે હું રોકતા શીખી ગયો, ત્યારે રડવા માટે કોઈનો ખભો મને મળ્યો. પ્રેમને અળગો કરી મેં દ્વેષ, ધિક્કાર, નફરતની અરુચિ કેળવી તો મને દિલોજાનથી ચાહનારા મારી સમક્ષ આવી ઉભા રહ્યા. નિરાશાની પરાકાષ્ઠાએ આવી મેં જ્યારે હાર કબૂલી ત્યારે જીત મારી રાહ જોઇને ઉભેલી. અંધારું જ્યારે મને માફક આવી ગયું ત્યારે ઉગતા સૂર્યના કિરણો મારે બારણે ટકોરા મારવા લાગ્યા. 

જીવનના આ કડવા સત્યને જ્યારે પચાવતા શીખી ગયો ત્યારે પ્રેમની ઝંખના મારી વિવષતા, જ્ઞાનની ખોજ મારી વિડંબના અને માનવજાત માટેની અસહ્ય દયા મારી મજબૂરી, મારી વ્યથા બની ગઈ.

આ બે મહાનુભાવોના સાહિત્ય સર્જનમાં હું પ્રેમની ઝંખના, જ્ઞાનની ખોજ અને માનવજાત માટેની અસહ્ય દયાનું હાર્દ પામ્યો છું. એનો ગૂઢાર્થ સમઝ્યો છું અને એથી સાંત્વના પામ્યો છું. વાંચન લેખનના નિજાનંદનો સતત વહેતો પ્રેરણાસ્ત્રોત આ બન્ને કર્મશીલોનું સાહિત્યપ્રદાન છે.

મધુરમ મેકવાન.