Thursday 9 October 2014

મારો..........પ્રેમનો અનુભવ !



બચપણથી માંડીને આજ સુધી પ્રેમને અનેક સ્વરૂપે અનુભવ્યો છે, માણ્યો છે મેં.
પ્રેમ મારો પર્યાય છે મારી પિપાસા છે.

બાલ્યવસ્થામાં પિતાની પડખે બેસી રસતરબોળ થઇ સાંભળેલા એ પિતૃપ્રેમના સંવાદને આજે પણ ભૂલી શક્યો નથી. સાડા ચાર વર્ષ થયા બાપના અવસાનને પણ મારા હૃદયમાં તો તેઓ આજે પણ જીવંત છે.અનંત અવકાશમાં આજેય તેમનો ચહેરો નિરંતર નિહાળુ છું
અને વાતો કરું છું.
વતનથી માઈલો, દર્જનો દૂર છું છંતા મારી માંને કાયમ મારી નિકટ નિહાળું છું.નાનપણમાં માની સોડમાં લપાઈને માણેલ એ માતૃપ્રેમના સ્વાદને આજે પણ વિસર્યો નથી. કોઈ પણ સ્નેહીજનની માંને મળું તો હૃદયમાં ફરીથી એ સ્નેહ્ધારાને વહેતી જોઈ શકું છું અને વ્યથિત થઇ જાઉં છું.

બહેન પ્રત્યેના પ્રેમને પણ મેં બરાબર જાણ્યો અને માણ્યો છે. કન્યાવિદાય ટાણે બાવરો થએલ હું સાસરે ગયેલ બહેન માટે આખી રાત રડયો છું."બહેન" એ મારા માટે માત્ર અભિવ્યક્તિ નથી, સજીવ અનુભવ છે. એ જ રીતે 'ભાઈ' એ પણ મારા માટે માત્ર શબ્દ નથી. એક સંવેદના, એક સહાનુભૂતિ છે. એ અમૂલ્ય સંબંધ માટે હું કંઈ પણ કરી છૂટવા સમર્પિત છું.

પ્રેમિકાને પત્ની સ્વરૂપે પામીને તેના પ્રેમને મેં તેની સમર્પણની ભાવનામાં વ્યક્ત થતો જોયો છે. વિકટ પરિસ્થિતિઓમાં હું એકલો નથી તેની ખાતરી કરાવતી મારી દીકરીના પ્રેમને મેં મારા સંઘર્ષમાં સહાયરૂપ થતો અનુભવ્યો છે. મારા ફક્ત એક આલિંગન માટે તરસતા પુત્રના પ્રેમને મેં છેક અંદરથી અનુભવ્યો છે. મિત્રોના પ્રેમને પણ મેં ખૂબ જ માણ્યો છે કે તે હજુ પણ જીવંત છે.

અને આથી જ પ્રેમના પ્રત્યેક આરોહ-અવરોહને હું અંદરથી જાણું છું.
પ્રેમના તૂટવાથી થતું દર્દ હું જાતઅનુભવથી જોઈ શકું છું.
પ્રેમની કોઈ પણ વાત લખવી હોય તો મને એમાં ડૂબી જવાનું ગમે છે.
મારા માટે પ્રેમનો અનુભવ કાયમ અવિસ્મરણીય હોય છે.
હું મારી સાથેના એક પણ સંબંધને કે એક પણ પાત્રને ભૂલ્યો નથી.
પ્રેમથી ભરેલા હરકોઈ સંબંધ સામે હું સદા નતમસ્તક છું.

જેને વર્ષો સુધી પ્રેમ કર્યો હોય, સાચા દિલથી જેની સાથે જોડાયા હોઈએ
એવી વ્યક્તિને સંપૂર્ણ મુક્ત કરી,
અંદર બહારથી છૂટા પડીને સાવ અજાણ્યા થઈને જીવવું કે, એક જ શહેરમાં ને એક જ જગતમાં એકબીજાને ભૂલીને જીવવું, જાણે જીવનની કિતાબમાં આવી કોઈ ઘટના બની જ નથી એ રીતે, એમાંથી એક પ્રકરણ કાઢી નાખવું કે પાનાઓ ફાડીને એ ખંડિત કિતાબને જોવી કે જીવવી,
એ અતિશય અઘરી અને અશક્ય બાબત છે મારા માટે .
પ્રેમના માર્ગ પર ચાલતાં ભલે ગમે તેટલું દર્દ મળે, કેટલીક વ્યક્તિઓ વચ્ચેથી સંબંધ છોડીને ભલે ચાલી જાય તો પણ પ્રેમ એ છોડવા જેવી બાબત નથી.

પ્રેમના અનુભવ બળ જેવું આ જગતમાં કોઈ બળ નથી.
' ભવાટવિ ' માં મળેલ પ્રેમના મારા આ શાશ્વત વરદાનનો હું સદૈવ ઋણી છું.......રહીશ.

મધુરમ મેકવાન.
બાપુ જયંતી, નવમી ઓક્ટોબર, ૨૦૧૪,
બ્રામ્પટન. કેનેડા.