Monday 10 September 2018

ડૉ. વર્ગીસ કુરિયન......મારા સંસ્મરણો !


ઓગસ્ટ, ૧૯૮૨ માં અમુલમાં મીકેનીકલ એન્જીનીયર તરીકે જોડાયો ત્યારે ઓરીએન્ટેશનમાં કુરિયન સાહેબ સાથે એક મુલાકાત હતી પણ તેઓશ્રી વિદેશ ગયા હોય શક્ય ન બનેલ. ત્યારથી ઈચ્છા હતી કુરિયન સાહેબને રૂબરૂ મળવાની જે ફળી પણ ખુબજ વિચિત્ર સંજોગોમાં. 

અમુલમાં દાખલ થયો એજ અરસામાં, અમુલના ઓફિસર અને એન્જીનીયર કર્મચારીઓ મેનેજમેન્ટ સાથે કોઈ મતભેદને લઇ પ્રતિક હડતાલ પર ઉતરેલા. જેને લીધે કુરિયન સાહેબ ખુબ નિરાશ થયેલા અને તેમણે તાત્કાલિક એન.ડી.ડી.બી.ના ઓડીટોરીયમમાં એક તાકીદની મીટીંગ બોલાવી બધાને હાઝર રહેવા ફરમાન કરેલું. એ મીટીંગમાં પ્રથમ વાર કુરિયન સાહેબને રૂબરૂ મળવાનું ને સાંભળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયેલ. મીટીંગમાં તેમણે અદભુત પ્રવચન કરેલું. હું ખુબ પ્રભાવિત થયેલ. ખુબજ વ્યથિત દિલે તેમણે કર્મચારીઓ સમક્ષ તેમના દિલની વાત કરેલ કે,


" આઈ હેવ બીલ્ડ માય હાઉસ.......
ઇનફ્રન્ટ ઓફ અમુલ. 
એ મેન બીલ્ડ્સ હીઝ હાઉસ નોટ ટુ લીવ.......
બટ ટુ ડાઈ. 
એન્ડ આઈ ડોન્ટ વોન્ટ ટુ સી કોલેપ્સ ઓફ અમુલ,
ઇનફ્રન્ટ ઓફ માય આઈઝ.......
ઈનફ્રન્ટ ઓફ માય ઑઉન હાઉસ " 


મીટીંગના બીજા જ દિવસે બધાજ કર્મચારીઓ ફરજ પર હાઝર થઇ ગયેલા. એક વિદ્વાન અને લાગણીશીલ વ્યક્તિ તરીકેની તેમની છાપ મારા મન પર ઘેરી અસર કરી ગયેલ. 

ડૉ. વર્ગીસ કુરિયન ( ૨૬ નવેમ્બર ૧૯૨૧ – ૯ સપ્ટેમ્બર ૨૦૧૨ ) મૂળે એન્જીનીયર. અમુલમાં એક પ્રોફેશનલ તરીકે તેમણે કારકિર્દી શરુ કરી, જીવનમાં આદર્શ મુલ્યો ધ્વારા શ્વેત ક્રાંતિ પ્રણેતા, દૂધ ઉદ્પાદકોના ભીષ્મપિતામહ અને આણંદ-પેટર્ન અમુલ સામ્રાજ્યના સર્જક તરીકે વિશ્વવિખ્યાત થયા.

ભારતમાં તેમજ વિશ્વમાં સહકારી ક્રાંતિ અને ચળવળના પ્રણેતા તરીકે ગરીબોના ઉદ્ધારમાં તેમનું વિશિષ્ઠ પ્રદાન રહ્યું. અમુલ, ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ તથા ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ જેવી આશરે ત્રીશ વર્લ્ડ ક્લાસ સંસ્થાઓના નિર્માણ ધ્વારા તેમણે ભારતને વિશ્વ સ્તરે એક નામના અપાવી. આ સંસ્થાઓની ખૂબી એ હતી કે તેનું સંચાલન તજજ્ઞો કરતા પણ માલિકીપણું ગરીબ દૂધ ઉદ્પાદકો-ખેડૂતોનું હતું.


ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના નિર્માણ ધ્વારા તેમણે અમુલ બ્રાંડને વિશ્વ સ્તરે પ્રખ્યાતી અપાવી. અમૂલની ભવ્ય સફળતાને બિરદાવી તે વખતના પ્રધાન મંત્રી શ્રી લાલબહાદુર શાસ્ત્રીએ એન.ડી.ડી.બી.ના ફાઉન્ડર-ચેરમેન (૧૯૬૫) તરીકે તેમની નિમણુક કરી. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એકજ એવી સરકારી સંસ્થા છે કે જે કુરિયન સાહેબની સફળતાના આધાર પર આણંદ-મોડેલ તરીકે નામના પામી સમગ્ર ભારતમાં એનું અમલીકરણ થયું.

ઓપરેશન ફલડ - વ્હાઇટ રીવોલ્યુશન એ સમગ્ર વિશ્વમાં સૌથી મોટો અને એક માત્ર એવો ડેરી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે જેના ધ્વારા ભારત દેશ વિશ્વમાં સૌથી મોટો દૂધ ઉદ્પાદક દેશ બન્યો. ૨૦૧૦-૧૧ માં વિશ્વના દૂધ ઉત્પાદનમાં ભારતનું યોગદાન ૧૭ ટકા હતું. શ્વેત ક્રાંતિના પ્રણેતા તરીકે ખ્યાતી પામેલ કુરિયન સાહેબ પદ્મ વિભૂષણ, વર્લ્ડ ફૂડ પ્રાઈઝ અને માગ્સેસ્ય અવોર્ડ જેવા અનેક ખિતાબોથી સન્માનિત થયેલ.

૨૬ નવેમ્બેર, ૧૯૨૧, કાલીકટ (મદ્રાસ બ્રિટીશ ઇન્ડિયા- હવે કેરલા) માં જન્મેલા કુરિયન સાહેબના પિતા એક સિવિલ સર્જન હતા. ૧૯૪૦ લોયોલા કોલેજ મદ્રાસ માંથી ફીજીક્સમાં ગ્રેજયુએટ થઈને તેમણે મદ્રાસ યુનીવર્સીટીમાંથી મીકેનીકલ એન્જીનીયર ની ઉપાધી મેળવેલ. સરકારી સ્કોલરશીપ ધ્વારા તેમણે અમેરિકાની મિશિગન યુનીવર્સીટીમાંથી મેટલરજીકલ એન્જીનીયરીંગ માં માસ્ટર્સ ની પદવી પ્રાપ્ત કરેલ.

મૂળે સીરીયન ક્રિશ્ચિયન કોમ્યુનીટીમાં જન્મેલા કુરિયન સાહેબ એથીઇસ્ટ હતા. પત્ની મૌલી, દીકરી નિર્મલા અને એક પૌત્ર સિદ્ધાર્થને મુકીને કુરિયન સાહેબ ૯૦ વર્ષની ઉંમરે, ૯ સપ્ટેમ્બર ૨૦૧૨ માં પ્રભુને પ્યારા થઇ ગયા. આઈ હેડ એ ડ્રીમ અને અન અનફીનીશ્ડ ડ્રીમ નામની બે બુક કુરિયન સાહેબની ઓટોબાયોગ્રાફી છે.



કુરિયન સાહેબનું મારું છેલ્લું સંસ્મરણ 



તેમણે જ સર્જેલ સંસ્થા ઇન્સ્ટીટયુ ઓફ રૂરલ મેનેજમેન્ટ - ઈરમા સાથે સંકળાયેલું છે. ૧૯૯૬ માં ઈરમા માં મેનેજમેન્ટના અભ્યાસ અંગે દાખલ થયો ત્યારે ઇરમાના એ ભવ્ય ઓડીટોરીયમમાં તેમણે અમને ઉદ્દેશીને એક પ્રવચન કરેલ,

લાઈફ ઈઝ એ હેપ્પી સોંગ એન્ડ આઈ એમ સિંગિંગ ધેટ સોંગ.
બટ આઈ કેન સિંગ ઓન્લી વન સોંગ.
એન્ડ ધેટ ઈઝ ઓલ અબાઉટ સાગા ઓફ મિલ્ક પ્રોડ્યુસર્સ.
પ્લીઝ જોઈન મી ટુ સિંગ ધીસ સોંગ.
વ્હેન યુ ગ્રેજ્યુએટ એન્ડ લીવ ઈરમા કીપ ધીસ સોંગ ઇન યોર હાર્ટ.
વ્હેનએવર યોર હાર્ટ વિલ બીટ ફોર ઈરમા,
ધીસ સોંગ શુડ બીકમ યોર સોંગ.
ધ વર્ડ્ઝ ઓફ ધીસ સોંગ શુડ બીકમ યોર વોઈસ.

હું ઈરમામાંથી મેનેજમેન્ટ સ્નાતક થયેલ. પદવીદાન સમારંભ બાદ તેમના ચરણસ્પર્શ મારો અંતિમ સ્પર્શ હતો. ત્યારબાદ હું કેનેડામાં સ્થાયી થયેલ. સાંભળવા મળેલ કે મિલ્ક સેક્ટરમાં ગંદી રાજકારણ નીતિએ તેમનો ભોગ લીધો હતો.

અમુલ મારી માતૃસંસ્થા છે જે કુરિયન સાહેબની દેન છે. અમૂલના પ્રતાપે આજે હું કેનેડામાં પણ ડેરીમાં જોબ કરું છું.




મારા સ્વ. બાપુના અને કુરિયન સાહેબના જીવનમાં, વિચારોમાં ને સિદ્ધાંતોમા, એક સામ્યતા મને સ્પષ્ટપણે દેખાય આવે છે, 


સામાજિક અન્યાયોનો ભોગ બનેલા, આજીવિકા માટે કાળી ખેતમજુરી પર નભતા દલિત ને શોષિત ગ્રામ્યજનોના ઉદ્ધાર માટે, 
દૈનિક રોજી રોટી માટે વલખા મારતા, 
વ્યાપારી કુટનીતિનો ભોગ બનેલ ગરીબ અને લાચાર દૂધઉત્પાદક ગ્રામ્યજનોના ઉદ્ધાર માટે,

આ બંને મહાનુભાવો આણંદને કર્મસ્થળ બનાવી આજીવન કાર્યસમર્પિત રહ્યા. 
જોસેફ મેકવાને સાહિત્યિક કલમ ધ્વારા ક્રાંતિ કરી 
તો કુરિયન સાહેબે સહકારી કમાન ધ્વારા.


મધુરમ જોસેફ મેકવાન.
કેનેડા.
ગાંધી જયંતી, ૨ ઓક્ટોમ્બર ૨૦૧૨.