Saturday, 15 November 2014


ગુરુગોવિંદ....દોનો....મારા બાપુ. 


ભૌતિક સંસ્કૃિતઓ આનુવંશિક નથી હોતી પરંતુ મૂલ્ય સંસ્કૃિત આનુવંશિક હોય છે. જેનો સાક્ષાત્કાર મેં મારા બાપુની જીવનપ્રણાલિકામાં કરેલો . જીવનમાં મેં તેમને કદી નવરા પડેલા નથી જોયા. જયારે પણ જોઉં ત્યારે કાયમ કંઈક ને કંઈક કાર્યમાં વ્યસ્ત. વાંચનનો તેમને હદબહારનો શોખ. હું વાંચતો લખતો થયો ત્યારથી મેં અમારા ઘરે નવનીત-સમર્પણથી માંડી રીડર ડાયજેસ્ટ જેવા વિવિધ મેગેઝીનો આવતા જોયેલા. વાંચવાનો શોખ મને મારા બાપુ પાસેથી વારસામાં મળેલો. લખવાનો પણ તેમને ખુબ શોખ. યુવાનીમાં તેમણે લખેલ તેમની સૌ પ્રથમ વાર્તા ત્યારે 'ચાંદની' સામયિકમાં પ્રગટ થયેલ. પણ પછીથી કોઈ કારણોસર લખવાનું તેમણે છોડી દીધેલું જે છેક ૧૯૮૧ માં ફરીથી ચાલુ કરેલું. પુનઃલેખન ચાલુ કર્યા બાદ તેઓ વધારે વ્યસ્ત રહેતા. પણ રાત્રે સહકુટુંબ સાથે જમવાનો અમારો નિત્યક્રમ અચૂક નિભાવતા. જમ્યાબાદ તેઓ અમારી સાથે ખુબજ રસપ્રદ વાતો અને માહિતીસભર ચર્ચા મોડી રાત સુધી કરતા. ખાવાપીવાના શોખીન મારા બાપુ ફીઝીકલ ફિટનેસનો પણ ખુબ ખ્યાલ રાખતા. કસરત માટે ચાલવાનું તેમને ખુબ ગમે. ગમે તેટલા વ્યસ્ત હોઈ પણ ચાલવા માટે હમેંશા સમય ફાળવતા. શરીર સૌષ્ઠવ જાળવવા તેઓ લોંગ વોકને ખુબ પ્રાધાન્ય આપતા. નિવૃત્તિ બાદ પણ તેમણે આ સિલસિલો ચાલુ રાખેલો. ત્યારે હું અમુલ ડેરીના ક્વાર્ટર્સમાં રહેતો. વિકેન્ડમાં કાયમ હું તેમને મળવા આવતો અને અમે સાંજે લોંગ વોક માટે નીકળી પડતા. ચાલતા નીકળી અમે અમારા ઘરથી છેક ચિખોદરા ગામની આંખની હોસ્પિટલ સુધી જઈને પરત ફરતા. અઢી-ત્રણ કલાકના આ લોંગ વોકમાં,મારા બાપુ મારી સાથે સામાજિક નીડરતા, નિષ્પક્ષતા તેમજ જીવનના નૈતિક મુલ્યો અંગે તેમના સ્વાનુભવોની ખુબજ માર્મિક ચર્ચા કરતા અને આ આદર્શ મૂલ્યોનું મારામાં સિંચન કરતા. તેમની વધુ નજદીક આવવાનો અને ઓળખવાનો સૌથી ઉત્તમ સમય હતો આ મારા માટે. એક સજ્જન, સંનિષ્ઠ અને ઉમદા વ્યક્તિત્વના તેમના જીવનપાઠ મારા પાંગરતા વ્યક્તિત્વ પર ખુબ ઊંડી અસર કરી ગયેલા.

એક આદર્શ શિક્ષકની જેમ મારા બાપુ શિક્ષણના તેમના વ્યવસાયને આજીવન તન,મનથી સમર્પિત રહેલા, શિક્ષણ તેમનું પેશન હતું. સર્વસ્વ હતું. તેઓ દ્રઢપણે માનતા કે,' એક આદર્શ શિક્ષક એ એક એવી વ્યક્તિ છે જે વિદ્યાર્થીઓના મન અને હૃદયને કેળવે છે. પોતાના શિક્ષણ ધ્વારા એ વિદ્યાર્થીઓના ચારિત્ર્યનો વિકાસ કરે છે, હતાશા કે આઘાતથી ચારિત્ર્ય રુંધાય નહિ તેની તકેદારી રાખે છે. શિક્ષકનું વલણ વિદ્યાર્થીમાં મનનું સામર્થ્ય પ્રગટાવે છે, ઈન્દ્રીયોનો વિકાસ કરે છે જે વિદ્યાર્થીને ભવિષ્યમાં ઉપયોગી થાય. વિદ્યાર્થી એ કુટુંબ, સમાજ અને દેશ માટે ખુબ અગત્યની વ્યક્તિ છે.' આવા ઉચ્ચ વિચારો ધરાવતા મારા બાપુએ શિક્ષણની કલાને તેમની આગવી અદાથી ખુબ નીખારેલી. સ્કુલમાં આજ્ઞાકિંતતા અને નીતિનિયમનના ભારે આગ્રહી એવા મારા બાપુ શિસ્તપાલન માટે કડક વલણ ધરાવતા. એટલે સ્કુલમાં એક કડક શિક્ષક તરીકે તેમનો ભારે પ્રભાવ અને રૂઆબ. પણ એક આગવી અને વિશિષ્ઠ શિક્ષણશૈલીને લીધે વિદ્યાર્થીઓ તેમના દીવાના. વર્ગમાં વિદ્યાર્થીઓને રમુજી રીતે "ચલ ઉભી થા, ક્યાં ગઇતી તુ" જેવા હળવા વ્યંગબાણથી તેમનું સંબોધન કરતા, જેનું વિદ્યાર્થીઓ ક્યારેય ખોટું નહિ લગાડતા. ખુબજ રસપ્રદ અને વિષયલક્ષી દ્રષ્ટાન્તો સાથે ઓતપ્રોત થઇ ભણાવતા. વિદ્યાર્થીઓ ભણવામાં એટલા બધા તલ્લીન થઇ જતા કે ક્લાસ ક્યારે પૂરો થતો તેનો કોઈનેય ખ્યાલ ન રહેતો. 

આજીવન શિક્ષણ ને સમર્પિત કરી એક આદર્શ અને પ્રતિષ્ઠિત શિક્ષક તરીકે ઓક્ટોબર,૧૯૯૩માં રીટાયર થયેલા. ૧૯૯૪,ફેબ્રુઆરીમાં સ્કુલમાં તેમનો વિદાય સમારંભ યોજાયેલો. સૌથી પ્રિય શિક્ષકને વિદાય અર્પતા ૧૫૦૦ વિદ્યાર્થીઓની ભીની થઇ ગયેલી આંખોનો હું સાક્ષી હતો. નિવૃત્તિ વેળાએ મેં તેમને એક કાંડા ઘડિયાળ યાદગીરી રૂપે ભેટ આપેલી. ૨૦૦૧, ફેબ્રુઆરીમાં વિદેશ વસવાટ અર્થે મારે કેનેડા જવાનું થયું ત્યાં સુધી એ ઘડિયાળ તેમણે સાચવી રાખેલી. મારી વિદાય વેળાએ ભારે હૈયે મને કહેલું, "સમય સમય નું કામ કરે છે બેટા,પ્રારબ્ધ આપણાં અંજળપાણી જ્યાં લખાયેલા હોય ત્યાં આપણને લઇ જાય છે. ભાવી વિકાસ અંગે તારું વિદેશ જવું અનિવાર્ય બન્યું છે. હું કેવી રીતે કહું તું ના જઈશ." અને મને ભેટીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડેલા. સ્કુલવિદાય અને મારી વિદેશવિદાય તેમને ખુબ વસમી લાગેલી. કન્યાવિદાયવેળાએ દિલને મૂંઝવતી હર્ષ અને વિષાદની મિશ્ર લાગણીઓ અનુભવતા પિતા જેટલાજ દુખી થયેલા મારા બાપુને, મારી વિદેશવિદાયવેળાએ, એટલાજ દુખી અને વિહવળ થયેલા, મેં નજરોનજર નિહાળેલા, દિલથી અનુભવેલા. એક પ્રેમાળ અને નિર્મળ પિતૃપ્રેમનો અમૃતવારસો મારા દિલમાં સમાવી આંખમાં આંસુ સહ, ભારે હૈયે હું વિદેશ જવા રવાના થયેલ.

૨૦૦૬, નવેમ્બરમાં તેમને કેનેડા બોલાવવાનું મારું સપનું ફળેલું. રાતે એક વાગ્યે તેમનું પ્લેન આવે, મારી નાઈટ શિફ્ટની ડ્યુટી. જોબ પરથી રજા મળેલ નહિ. ટોરંટોનું એરપોર્ટ મારા ઘર તેમજ જોબથી નજદીક એટલે એક કલાકની છૂટીની વ્યવસ્થા કરી હું મારતી ગાડીએ તેમને રીસીવ કરવા ઐરપોર્ટ પહોંચ્યો. કેનેડાની ધરતી પર તેમનું આગમન કરવા હું બાવરો થઇ ગએલો, એરપોર્ટ પર મને જોતાજ પરમ આનંદની એક અનોખી લાગણી સહ તેમણે ભાવ વિભોર થઇ મને એક ભવ્ય આલિંગન આપ્યું. ચરણસ્પર્શ કરતા ઝૂકેલા મારા માથા પર વ્હાલનો હાથ ફેરવતા મને કપાળ પર એક ભાવુક ચુંબન કરી બોલ્યા, " ભૈલા .....બેટા મધુ ... તને જોવા આંખો તરસાઇ ગઈ ! " ફોરેન જવું મારું સપનું હતું અને એ સાકાર થએલું, પણ......" વ્હેન ધ ડ્રીમ કમ્સ ટ્રૂ, ઇટ્સ હાર્ડ ટુ ક્ન્કલુડ, વ્હિચ પાર્ટ ઓફ રિયાલીટી વોઝ ડ્રીમ્ટ એન્ડ વ્હિચ પાર્ટ ઓફ ડ્રીમ ઈઝ રિયાલીટી " અને વાસ્તવિકતા એ હતી કે વિદેશની ધરતી પર, એ રાત્રે બે વાગ્યે, ટોરન્ટોના એ વિશાળ અને વૈભવી ઐરપોર્ટ પર મારા બાપુને પામીને હું સપનામાં ખોવાય ગયો હતો. આનંદના અતિરેકમાં ડ્રાયવીંગ કરતા એક ટ્રાફિક સાઈન હું ચુકી ગયો અને ભૂલથી ખોટા રસ્તે- હાયવે પર આવી ગયો. રસ્તો લંબાઈ ગયો અને ધાર્યા કરતા અમે મોડા ઘરે પહોંચ્યા પણ સમય તેમની રસપ્રદ વાતોમાં ક્યાં ગયો ખબરેય ન પડી. કેનેડામાં તેમની પધરામણીના સમાચાર વાયુ વેગે પ્રસરી ગએલા. બીજા દિવસે તો મારા ઘરે એમને આવકારવા સતત ફોનની ઘંટી રણકે અને મહેમાનો ઉમટી પડેલા. હું વર્ષોથી કેનેડા રહું પણ આટલા મહેમાનો મેં ક્યારેય મારા ઘરે નથી જોયા. હું ધન્ય થઇ ગએલો. સામાજિક-સાહિત્યિક કાર્યક્રમોથી ભરચક તેમનો કેનેડાવાસ ખુબજ વ્યસ્ત રહેલો. 

મને યાદ છે રવિવાર તા. ૭ મી જાન્યુઆરી, ૨૦૦૭, ગ્રેટર ટોરંટો એરિયાના મિસીસાગા શહેરના એક વિશાળ નગરહોલમાં તેમનું વ્યક્તવ્ય યોજાએલુ. ટોરંટોની એક પ્રસિદ્ધ સીનીઅર સીટીઝન સંસ્થાએ તેમને આમંત્રેલા. હોલ આખો આમન્ત્રીતોથી ખીચોખીચ ભરાય ગએલો. " નિવૃત્તિ અને વૃદ્ધાવસ્થા" અંગેનું તેમનું પ્રભાવિત અને રુદયદ્રાવક વ્યક્તવ્ય સાંભળીને હાઝર રહેલ સહુની આંખો ભીની થઇ ગએલી. તાળીયોના ગડગડાટથી તેમનું અભિવાદન થએલું. વ્યક્તવ્ય બાદ એક સેલેબ્રીટી એવા મારા બાપુને મળવા લોકો ચારે તરફથી ઘેરી વળેલા. કાર્યક્રમ બાદ અમે ખુબ મોડા ઘરે પરત ફરેલા. યોગાનુયોગે એ દિવસે મારો જન્મદિન. ઉજવણી નિમિત્તે હું ફ્રાંસનો પ્રખ્યાત વાઈન ફ્રેંચ ક્રોસ લાવેલો અને અમે સાથે બેસીને માણેલો. જમ્યાબાદ તેઓ થાકેલ હોઈ સુવા માટે ઉપર તેમના બેડરૂમમાં ગયા. ઇન્ડિયામાં જયારે પણ હું મારા બાપુને થાકેલ જોઉં તો તેમના પગ દબાવી આપતો. આજે આ શુભદિને મને આ મોકો મળ્યો. બેડરૂમમાં તેમને બ્લેન્કેટ ઓઢાડી મેં તેમના પગ દબાવી આપ્યા. વાતો કરતા કરતા તે ક્યારે નિંદ્રાધીન થઇ ગયા મને ખબરેય ન પડી. એક સંતૃપ્ત અને અજીબ અહોભાવે હું તેમને સુતેલા નિહાળી રહ્યો હતો. જીવનનો સૌથી શ્રેષ્ઠ જન્મદિવસ હતો આ મારા માટે. સ્વદેશ પરત ફર્યા બાદ તેમણે મને પત્ર લખેલો :

વ્હાલા બેટા મધુ,
બાપુના વ્હાલ નીતરતા આશીર્વાદ. જીવન એક કલા છે બેટા. એમાં આશા-નિરાશા, ઉત્સાહ,ઉમંગ, સાહસ-પરાક્રમ, હતાશા,વિફળતા, વિજય-પરાજય અને જીવન તથા મૃત્યુના વિવિધ અંકો ભજવાતા હોય છે. દરેકને પોતાને હિસ્સે આવતો પાર્ટ અદા કરવાનો રહે છે. કોઈ પણ કૃત્ય થકી આપણે ઉજમાળા ઠરીએ એજ જિંદગીની સફળતા છે. માટેજ કહેવાયું છે કે કેટલું જીવ્યા એના કરતા કેવું જીવ્યા એ મહત્વનું છે. તારા થકી આજે હું પરદેશની એ સુખ સમૃદ્ધિ માણી શક્યો છું એ મારા માટે ઓછા સંતોષની વાત નથી બેટા. તારા ભાવી વિકાસ માટે પરદેશવાસ અનિવાર્ય બન્યો એને હું નિયતિનું નિમિત્ત માનું છું. બાકી વિદેશવાસમાં જેવો દેશ તેવો વેશ. ત્યાનું વાતાવરણ અને અર્થકારણ એ સાથે ત્યાની સામાજિકતા વ્યક્તિ માત્ર માં બદલાવ (ચેન્જ ) -પરિવર્તન લાવે છે. એવો ફેરફાર હું તારામાં પણ જોઈ શક્યો છું પણ હું એને સ્વાભાવિક સમજુ છું. છતાંપણ સન્માર્ગે ચાલીને, સદાચાર પાળીને,સદવૃત્તિ સેવીને નિર્મળ પ્રેમ અર્પવો, એથી વધીને અદકું કોઈ નૈવેધ નથી-કોઈ અર્પણ નથી, જે હું તારામાં જોઈ શક્યો છું. સંત પોલ ના 'પ્રેમ વિનાની ખાલી ઝાંઝ ' વાળા શબ્દોમાં પ્રેમનું અપાર મહાત્મ્ય સમજાવાયુ છે. તું એવા સર્વોત્કૃષ્ટ પ્રેમનો પાત્ર બને અને નિરામય દીર્ઘાયુષ્ય ભોગવે એવી પ્રભુપીતાને અભ્યર્થના ......લિખીતન બાપુ............. જીવનમાં પ્રેમાળ અને આદર્શ પિતા તરીકે મળેલા મારા બાપુ મારા માટે તો મારા ભગવાન જ હતા. ઈશ્વર અને પિતા બંને મારી સમક્ષ હોય અને મારે જો એકની પસંદગી કરવાની હાય તો, હું બેધડક મારા બાપુની જ આંગળી પકડું !

નીવૃત્તિ બાદ તેઓ લેખન કાર્યમાં ખુબ સમય વિતાવતા. ફોન પર મારી સાથે લાંબી વાતો કરતા પણ એકલતા ખુબ અનુભવતા એવું એમની વાતો પરથી મને કળાતું. હું તેમને નિયમિત ફોન નહોતો કરી શકતો તેની ફરિયાદ કરતા પણ ફળસ્વરૂપે મને નિયમિત પત્રો લખતા, કહેતા, 'સંબંધો બહુ અટપટી ચીજ છે. સંબંધો વગરનો સમાજ શકય નથી. સંબંધો વગર સંસ્કૃતિ શકય નથી. આપણા સંબંધો આપણા વર્તન દ્વારા વ્યકત થાય છે.આ વર્તનમાં જ આપણાં સંસ્કારો અને સંસ્કૃતિ છતાં થાય છે.'

વિદેશવાસ, પુત્રવિયોગની પીતૃ-વ્યથાનું કારણભૂત બન્યો એ હું સમઝી શકતો હતો પણ મારી બદલાયેલી માનસિકતાનું નિમિત્ત બન્યો તેનો ગુઢાર્થ મને આજે તાર્કિક રીતે સમઝાય રહ્યો છે. પશ્ચિમનો પ્રત્યક્ષ અને નિકટનો સંબંધ અને ભારતનો પરોક્ષ અને પાછળ છૂટી ગયેલો સંબંધ આ બે વચ્ચેની સ્થળાંતરિત પ્રક્રિયા અને સાંસ્કૃિતક પરિવર્તનની પ્રક્રિયા આપણા બદલાયેલા માહોલનો પરિચય કરાવે છે. સમાજશાસ્ત્રના અભ્યાસી ડેવિડ રીસમનના મતે, પ્રચલિત સમાજની જીવન પદ્ધતિઓથી પ્રભાવિત સાંસ્કૃિતક અસરોને લીધે થતું માનવવર્તન કદીક આનંદ નીપજાવે છે. તો કદીક ચિંતાતુર પણ બનાવે છે. જેનો દુખદ એહસાસ હું મારા બાપુના હસ્તલિખિત પત્રોમાં અનુભવતો અને મારી જાતને દોષિત માનતો. પણ પરિવર્તનની આ પ્રક્રિયા પણ નિયતિનું એક નિમિત્ત છે એમ માની મન મનાવતો.

પશ્ચિમની સંસ્કૃિતના બદલાયેલાં જીવનમૂલ્યો આપણી વાણી, વિચાર અને સ્વભાવમાં પ્રતિબિંબિત થાય છે. માનવવિકાસ અને વ્યક્તિત્વને સમજવા માટે સામાજિક અને સાંસ્કૃિતક અસરોનો અભ્યાસ કરવો જરૂરી છે તેવું મનોવિજ્ઞાનીઓ માને છે. સમાજશાસ્ત્રી એરિક ફ્રોમના મતે મનુષ્યનું અસ્તિત્વ અને સ્વરૂપ જ તેને એકલતાનું તીવ્ર ભાન કરાવે છે. જાત સાથે, આસપાસના સમાજ અને વિશ્વ સાથે અર્થપૂર્ણ રીતે અનુંસંધિત થવાની અનિવાર્યતા આ તીવ્ર એકાકીપણાના ભાનમાંથી વિકસે છે. આવા સમયે મનુષ્યની આસપાસનો સમાજ અને સંસ્કૃિત એની જરૂરિયાતોને કાં તો સંતોષે છે કાં તો છિન્નભિન્ન કરી દે છે.

દોઢ દાયકાના મારા વિદેશવસવાટમાં મેં આ જીવનપ્રક્રિયા સાંગોપાંગ અનુભવી છે, સહી છે.પણ બદલાયેલી માનસિકતા પાછળ કાર્યરત સમાજમાં પ્રાપ્ત વ્યક્તિસ્વાતંત્ર્યની સગવડ અને સંસ્કૃિતમાં સ્વીકારેલ વ્યક્તિગત મૂલ્યોની મહત્તાની સાથે મૂળ સમાજની સામાજિક વ્યવસ્થા કારણભૂત છે એવું હું દ્રઢપણે માનું છું. 


નિવૃત્ત જીવનના તેમના દૈનિક કાર્યક્રમને વળગી રહેતા મારા બાપુ સવારે વ્હેલ્લા ઉઠી જતા, મોર્નિંગ વોક કરતા અને ખાવા-પીવામાં ખુબ ચરી પાળતા. છતાં પણ આર્થરાઈટીસની બીમારી તેમને ઘર કરી ગયેલી. ઘુટણના દર્દ ની ફરિયાદ તેઓ ઘણા સમયથી કરતા. પણ ઉપચાર માટે સર્જરી ટાળવાના તમામ પ્રયાસ કરતા. છેવટે ૨૦૦૯ માર્ચમાં નાછુટકે સર્જરી કરાવી અને સર્જરી સફળ રહી. યાદ છે મને ફોન પર કાયમ કહેતા, "બેટા ખુબ સારું લાગે છે, દર્દ કાયમ માટે જતું રહ્યું, લાગે છે જો વહેલી તકે કરાવ્યું હોત તો આ દુખ ના ભોગવવું પડત." ને મારી સાથે લોંગવોકના શમણા જોતા મારા બાપુ સ્પોન્ડીલીટીસની ભયંકર ને જીવલેણ બીમારીમાં સપડાય ગયા.......................ક્રમશઃ.......................

Friday, 7 November 2014


દેશ રે જોયા દાદા પરદેશ જોયા !
ડાયસ્પોરા........એક અકથિત સંવેદના.


કાયમી વસવાટ માટે કેનેડા માઈગ્રેટ થયો ત્યારે સેટલમેન્ટ પ્રોસેસના ભાગરૂપે કેનેડીયન હયુમન રિસોર્સીઝ ડીપાર્ટમેન્ટ ધ્વારા ઇમિગ્રન્ટસ માટે ચાલતા વર્કશોપમાં ભાગ લીધેલો. વર્કશોપમાં એક પ્રશ્ન પુછાયેલો, " વ્હાય યુ કેઈમ ટુ કેનેડા ? " મારી સાથે ભાગ લઇ રહેલ મોટા ભાગનાનો જવાબ હતો........" ફોર એ બેટર લાઈફ ! " હમણાં જ, લેખક શ્રી. વિજય જોશીનો અંગ્રેજી આર્ટીકલ A Perpetual Sojourn વાંચ્યો. એક ઇમિગ્રન્ટ તરીકે વતનથી જોજનો દુર વિદેશમાં સ્થળાંતર થઇ સ્થાપિત થયાનો આનંદ અને વતનથી વિસ્થાપિત થયાની વેદનાની મિશ્ર લાગણીઓ વર્ણવતો તેમનો લેખ હૃદય સ્પર્શી ગયો. "ડાયસ્પોરા" ની મૂળ વાતમાં યહુદી પ્રજાનું મિસરની ગુલામીમાંથી મુક્ત થવા અન્ય સ્થળે વસવાટ કરવા જવાના વર્ણનમાં પણ આજ કથા-વ્યથા છુપાયેલી છે.

ઇમિગ્રન્ટ - આપ્રવાસીઓ અને ઈમિગ્રેશન - દેશાંતર, વેશ્વિક ધોરણે ડાયસ્પોરિક સાહિત્ય સંશોધનનો એક અતિશય સંવેદનશીલ વિષય છે. તેમની અનેક શ્રેણીઓ છે, અનેક પ્રકાર છે. તેમની લાગણીઓ પણ અનેક પ્રકારની અને ખુબજ સંવેદનશીલ વાત કહેતી હોય છે ! ‘ઇમિગ્રન્ટ - Immigrant ’ એ આપ્રવાસીઓની એક એવી શ્રેણી છે જે સામાન્ય રીતે પોતાની મરજીથી પોતાનો દેશ છોડીને આવેલ છે. જયારે ‘એમિગ્રે - émigré ’ એ તેનાથી બિલકુલ અલગ પ્રકારની શ્રેણી છે કે જેને અન્ય કારણોના દબાણ હેઠળ પોતાનો દેશ છોડવાની ફરજ પડેલ છે. આ બંને કિસ્સાઓમાં ફરક ઘણો છે પણ સામ્યતા માત્ર એકજ છે...... બેટર લાઈફ........બહેતર જીવનની ઝંખના.......જેમાં હુય બાકાત નથી !

સ્કીલ્ડ ઇમિગ્રન્ટસ એ ઉચ્ચ શિક્ષણ ધરાવતા આપ્રવાસીઓની સૌથી મોટી શ્રેણી છે. જે તે દેશમાં સ્થાપિત થયા બાદ તેઓ આજીવન એક અજંપો લઈને જીવતા હોય છે.....બેટર લાઈફ.....દેશમાં કે પરદેશમાં ? રેફ્યુજી એટલે શરણાર્થી તરીકે આવતા આપ્રવાસીઓ પ્રત્યે મને વિશેસ લગાવ છે. પછી ભલે એ રાજકીય કે બીજા કોઈ જોખમની બીકે પોતાનો દેશ છોડીને આવ્યા હોય. એમના દેશાંતરમાં મજબુરીની મહાવ્યથા છુપાયેલી છે. એક્સ્પૅટ્રિયટ એટલે કે દેશવટે આવેલ ઇમિગ્રન્ટસનો તો એક એવો વિશિષ્ઠ વર્ગ છે કે જે વિદેશમાં વસે છે, પણ યજમાન સમાજમાં ભળવાથી બચવા માટે સદા સજાગ રહે છે.

અઢારમી સદીના ઉત્તરાધમાં એશિયામાં રાજ કરતા અંગ્રેજોએ બહેતર જીવનનો લોભલાલચ આપીને સ્થાનિક પ્રજાનું વહાણોમાં ઠાંસી ઠાંસીને ભરી તેમનું સ્થળાંતર કરાવેલું . આફ્રિકા અને અમેરિકા ખંડના ટાપુઓ પર તેમને બોન્ડેડ લેબર બનાવી આજીવન તેમનું શોષણ કરેલું. ગયાના ટાપુ પર બંદી બની વસેલ ઉત્તર ભારતની મૂળ પ્રજાની સ્થળાંતરની વેદના વતનના ઝુરાપાની એક ઐતિહાસિક કથા છે. રોજ સાંજ પડ્યે દરિયા કિનારે બેસીને અનંત સાગરમાં મીટ માંડીને રાહ જોતી આ પ્રજાને એમ કે એક દિવસ એક વહાણ આવશે અને તેમને વતન પરત લઇ જશે. માતૃભૂમિના દર્શન માટે ઝૂરતી આ પ્રજાની પ્રથમ પેઢી જીવન પર્યંત આ આશા લઈને જીવેલ.

મધ્યકાલીન યુરોપમાં દેશનિકાલની સજા સૌથી ખરાબ મનાતી. એમાં હીણપત અને ઝુરાપાની વેદના હતી. મહાકવિ દાન્તેને દેશવટાની સજા થઈ ત્યારે એમને તો ફ્લોરેન્સથી માત્ર સોએક માઇલ દૂર વસવાનું હતું પણ એમને મન એ સામાજિક મૃત્યુ હતું. દેશવટે રહીને એમણે ‘ઇન્ફર્નો’ ની રચના કરી, તેમાં પણ એમની આ વ્યથાનો પડઘો ઝિલાયો છે. માતૃભૂમિ માટે તેમને એક એવું આંતરિક ખેંચાણ અને અકલ્પ્ય લાગણી હતી કે હવે વતનનાં ઝાડ ફરી જોવા નહીં મળે એનો વસવસો અને વ્યથા લઈને આજીવન અજંપા સાથે જીવેલા.

ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં, વિશ્વના કોઈ પણ ખૂણે સ્થળાંતર થઇ વસેલા આ આપ્રવાસીઓના અનુભવ અને અર્થ સમયની સાથે બદલાતા રહ્યા છે અને બદલાતા રહે છે. દરેક આપ્રવાસીની જેમ મારીય આજ વ્યથા વેદના છે. લાખ મનાવ્યેય મન માનતું નથી ને વાતે વાતે ઊડીને એ વતનમાં પહોંચી જાય છે. નવા દેશની દરેક વાતનો સાંધો હું સીધો મારા દેશ જોડે જોડી દઉં છું. એ મારી એક વણઉકેલ સમસ્યા છે. સીએન ટાવરને હું કુતુબ મીનાર સાથે સરખાવવાની અભદ્ર કોશીસ કરું છું. સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને જોઉં છું ત્યારે તાજમહેલ મારા મનમાંથી ખસતો નથી અને નાયગ્રા ફોલને નિહાળી વિહ્વળ થઇ જાઉં છું કે આટલું બધું પાણી વ્યર્થ વહી જાય છે ને મારા દેશમાં લોકો પાણી માટે વલખાં મારે છે.

વિદેશની નાગરિકતા સ્વીકાર્ય છતાંય એક આપ્રવાસી તરીકે હું વતન અને વિદેશ બેમાંથી એક પણ દુનિયામાં રહી શકતો નથી. માતૃભુમી પ્રત્યેની મારી નિષ્ઠા, પ્રેમ, વફાદારી અને સંસ્કૃિત, બધામાં વિદેશી ભેળસેળ થઇ ગઈ છે. વિદેશમાં એક નવી દુનિયાનો માણસ બની રહેવાનો પ્રયાસ કરું છું. મારા ઘરને હું માતૃભૂમિની પ્રતિકૃતિ બનાવવા માંગું છું. જેમાં મોટા ભાગે મને કોઈ કામયાબી નથી મળતી તોય એક ત્રિશંકુની જેમ બેવડું જીવન જીવી રહ્યો છે. થોડા વખત પહેલાંની મારી વતનની મુલાકાતમાં હું મારા શહેરને ખૂણે ખૂણે ફરી વળ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે અહીં તો હવે સાઇબર કૅફે, મૅકડૉનલ્ડ, પાશ્ચાત્ય ફૅશનોનો પ્રચાર પ્રસાર કરતાં બૂટિક, ઊંચી ઇમારતો અને નાઇટ ક્લબો પણ છે ! મારી સ્મૃિતમાં સંઘરાયેલા, સચવાયેલા શહેરનો રડ્યોખડ્યો અંશ પણ માંડ જોવા મળ્યો. દેશની સભ્યતા અને વિદેશી સભ્યતા વચ્ચેની ભેદરેખા લગભગ ભુંસાઈ જવાને આરે હોય એમ બન્ને વચ્ચે ખાસ કઈં અંતર મને જોવા ન મળ્યું.

મને સમજાયું કે મારું વતન મારી સ્મૃિતમાં બહુ ઊંડે બરફની જેમ જામીને સચવાયેલું છે જે મારી અંદર ધબકતું રહેશે પરંતુ હવે ભારતમાં તો એનું અસ્તિત્વ નથી જ. બહુ જ અણમોલ મૂડી ગુમાવ્યાનું દુ:ખ લઇને ત્યાંથી નીકળ્યો ત્યારે જે ભૂમિ પર પાવન થવાં મન ઉભરાતું હતું એ હવે સાવ શમી ગયું લાગે છે. કેનેડાના મુળિયા અંકુર ફૂટી આકાર લઇ રહ્યા છે ત્યારે માતૃભૂમિમાં મન મુકીને સીંચેલા મૂળિયા હવે પળે પળે સૂકાતા જાય છે. જેમ સૂકાઇ ગયેલા છોડના મૂળિયાને બાગ સાથે કોઇ સંબંધ નથી રહેતો તેમ ઊખડી ગયેલા છોડની જેમ મારું અસ્તિત્વ કોહવાતું જાય છે. કેનેડાની અતિવ્યસ્ત જીવનશૈલીએ મને એકલપંડો કરી દીધો છે. અતિશય શાંતિએ મારા મનમાં કોલાહલ પ્રત્યે નફરત ભરી દીધી છે. દર્દની આ એક એવી દાસ્તાન છે, વેદનાનો એક એવો ચિતાર છે જેને અહીંના સો હાસ્યનાં ઊંડાણમાં છુપાવી દે છે. મારાં અસ્તિત્વમાંથી કોઇ કિમતી વસ્તુ ઝૂંટવાઇ ગઇ હોય એવું લાગે છે તોય ફરીને ફરી રોજ એ જ આશા સાથે સવારે ઊઠું છું કે કદાચ જીવવા માટે પાછો કોઇ ભ્રમ મળી જાય.

'ભવાટવિ' માં હવે પછી સાંસ્કૃિતક અને સામાજિક દ્રષ્ટિકોણને આધારે હું ડાયસ્પોરાની વાત કરીશ. મારી વાતમાં ગુજરાતી ડાયસ્પોરાની સમસ્યાઓ, સંઘર્ષો, પુનર્વસન માટેના પ્રયત્નો જેવી અનેક બાબતો ઉપરાંત મૂળ દેશની સામાજિક – સાંસ્કૃિતક બાબતો સાથે અપનાવેલ દેશની સામાજિક – સાંસ્કૃિતક બાબતો અને ભૌતિક સંસ્કૃિત, સમકાલીન સંસ્કૃિતને કઈ રીતે પ્રભાવિત કરે છે તેનું નિરૂપણ કરીશ. નીઓ ફ્રોઈડીઅન અભિગમને ધ્યાનમાં રાખીને મારી વાતમાં બદલાયેલા વિશ્વનો તાગ મેળવવાની કોશિષ કરીશ. નીઓ-ફ્રોઈડીઅનો ‘વૈયકતિક મનોવિજ્ઞાન’ ને સમાજ અને સાંસ્કૃિતક પ્રવાહો સાથે જોડે છે. સમાજશાસ્ત્રના અભ્યાસી ડેવિડ રીસમનના મતે, સમાજનું સ્વરૂપ બદલાય તેમ વ્યક્તિત્વનાં લક્ષણો પણ બદલાય છે. મનુષ્યની વૃત્તિઓ, અભિવ્યક્તિ અને સંતોષ –અસંતોષ જુદા જુદા સમય અને પ્રદેશના જુદા જુદા સમાજની જીવન પદ્ધતિઓથી પ્રભાવિત થાય છે.













ભારતીય ડાયસ્પોરા વિશ્વના આશરે ૧૧૨ દેશોમાં ફેલાયેલો છે. તેમાંથી ગુજરાતી ડાયસ્પોરા આશરે ૪૪ દેશોમાં વ્યાપ્ત છે. ખાસ કરીને બ્રિટન, અમેરિકા, કેનેડા અને પૂર્વ આફ્રિકાના દેશોમાં વિસ્તૃત રૂપે. ભવાટવિમાં મને સાંપડેલ પ્રસંગો, પાત્રો અને પરિસ્થિતિઓનું મૂલ્યાંકન બદલાયેલી સામાજિકતા સંદર્ભે આપ સૌની સમક્ષ નિરૂપણ કરવાની નમ્ર કોશિશ સાથે......હું......

મધુરમ  જોસેફ  મેકવાન, મૂળ ભારતીય ગુજરાતી, 
રહેવાસી કેનેડા, નાગરિકત્વ......ઇન્ડોકેનેડીયન !

(મૂળ અંગ્રેજી A Perpetual Sojourn ના ગુજરાતી અનુવાદના અમુક અંશો સાથે)

Friday, 31 October 2014


મારો આદર્શ..............મારા બાપુ


ફરજ પાલન અને નીતિમત્તાના આદર્શ ધરાવતા મારા બાપુ જીવનમાં પ્રમાણિકતા અને શિસ્તના ભારે આગ્રહી. ઘરમાં એમની હાજરી માત્ર અમને શિસ્તપાલન અને આજ્ઞાકિંત બનવા માટે પ્રેરણા રૂપ રહેતી. નાનપણમાં મારા ભાઈબહેનોની સરખામણીમાં હું સ્વભાવે થોડો મસ્તીખોર જેને લઇ ઘણીવાર મારા બાપુનો ઠપકો મારે વહોરી લેવો પડતો. તોય મારો ઉછેર તેમણે ખુબજ મમતા અને પૂરી જતનથી કરેલ એવું મારી માં કહેતી. મને યાદ છે યુવાનીમાં પ્રવેશ્યો ત્યારે એક પુત્ર નહિ પણ મિત્ર તરીકે મારા બાપુએ મને સથવારેલો. યૌવનકાળના મારા ઉછેર અને વિકાસમાં, ઉચ્ચ શિક્ષણ અને ઉચ્ચ વિચારો ધ્વારા આદર્શ જીવનના નૈતિક મુલ્યો તેમણે મારામાં મન મુકીને સિંચેલા. એટલે જ ઉંમર સહજ એ અવસ્થાએ સાંપડેલ અનુભવજ્ઞાને મારા બાપુ જ મારો આદર્શ બની ગયેલા. તેમના ઉચ્ચ આદર્શો મારો જીવન મંત્ર બની ગયેલો અને એને અનુસરવા હું ઘણીવાર અસામર્થ્ય અનુભવતો તોય પૂરી લગનથી કોષીસો કરતો.

ઓગસ્ટ, ૧૯૭૯માં મને એલીકોન એન્જીનીયરીંગ કંપની, વિદ્યાનગરમાં ટ્રેઈની એન્જીનીયર તરીકે, જીવનની પ્રથમ નોકરી મળેલી. મને ખુબ ગર્વ થયેલો. ખુશીનો માર્યો હું ફૂલ્યો નહોતો સમાતો. મને યાદ છે મારો સૌ પ્રથમ પગાર લાવીને મેં જયારે મારા બાપુના હાથમાં મુક્યો ત્યારે તેઓ ખુબ ખુશ થઇ ગયેલા. તેમના ચહેરા પર એક સંતૃપ્ત ભાવનાની લાગણી હું સ્પષ્ટ પણે વાંચી શકતો હતો. મને કહેલું, "બેટા, ફરજ સમર્પિત અને કાર્ય પ્રમાણિક રહેજે, મન લગાવીને કામ કરજે, કોઈ કસર છોડતો નહિ. તારું કામજ તારી સાચી ઓળખ છે."

મારે શિફ્ટ ડ્યુટી આવે. રાત્રે દોઢ બે વાગે ઘરે આવતો પણ કામમાં કોઈ કચાસ નહિ છોડેલી. મારા ખાતા અધિકારી અને અન્ય સીનીયર કર્મચારીઓ મારા કામથી પ્રભાવિત પણ તોય તેમના વલણમાં મને કવચિત જ્ઞાતિવાદી અભિગમ વધારે દેખાતો. જ્ઞાતિ-ભેદભાવના ઘણા કડવા અનુભવો પણ મને થએલા ને આ અંગે મારા બાપુને મેં વાત પણ કરેલી. પણ તેઓ કાયમ મારો હોંસલો બઢાંવતા અને વિપરીત પરિસ્થિતિઓમાં નિરાશ થવાને બદલે વિધાયક વિચારો ધ્વારા કામ કરવાની શિખામણ આપતા. પણ અંતે થવાનું થઈને રહેલું. હું જ્ઞાતિવાદનો ભોગ બનેલો. એક વર્ષના તાલીમ સમય બાદ મને એલીકોનની નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવેલો. હું ખુબ નિરાશ થઇ ગયેલો. મારા બાપુ પણ એટલાજ વ્યગ્ર અને વ્યથિત. પણ જીવનમાં આવા પરિબળો સામે ઝુકી નહિ જવાનો પરંતુ મક્કમતાથી તેનો પ્રતિકાર કરવાનો ગુરુમંત્ર મને આપેલો ને કહેલું, "જો બેટા વ્યવસાયિક જીવનમાં જ્ઞાતિવાદ તો રહેવાનો જ. નિરાશ ના થતો. તને આ નહિ તો બીજી નોકરી મળશે. પણ ભવિષ્યમાં તારા વ્યવસાયમાં તુ મોટા હોદ્દા પર પહોંચે ત્યારે આ બાબતને લઈને તુ કોઈને અન્યાય ના કરતો. એમાંજ આપણી જીત છે." તેમની આંખોમાંથી પ્રગટતો રોષ મને આહવાન આપી રહ્યો હતો.

થોડાજ વખતમાં મને અમુલ ડેરીમાં નોકરી મળી ગએલી અને મારી સફળતાનો ગ્રાફ સારો એવો જામેલો. મારી કાર્યક્ષમતા અને કાર્યદક્ષતાને ધ્યાનમાં લઈને સંસ્થાએ મેનેજમેન્ટના ઉચ્ચ અભ્યાસ અર્થે મને સ્પોન્સર કરેલ. આણંદ સ્થિત ઇન્ડિયાની વિશ્વ વિખ્યાત મેનેજમેન્ટ સંસ્થા, ઇન્સ્ટન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટમાથી, સ્નાતકની ઉપાધી લઈ હું અમુલમાં માનવ સંસાધન વિભાગમાં ફરજ બજાવતો. નિમણુક અને તાલીમ મારી મુખ્ય જવાબદારીઓ જેને લઈને ઘણા લોકો મને ઓફિસમાં તો ઠીક ઘરે પણ નોકરી માટે મળવા આવતા.

મને યાદ છે મારા મોસાળ ચક્લાશીથી એક બહેન તેમના દીકરાને લઈને નોકરી માટે મને ભલામણ કરવા મારી માંને મળવા આણંદ મારા ઘરે આવેલ. મારી માએ મારા બાપુને વાત કરી ને તેમણે મને અમુલ ડેરીમાં ફોન કર્યો. એ દિવસે હું કામ અંગે બહાર હતો એટલે એમણે એક ચીઠી લખી તે બહેનને મારા અમુલ ડેરીના નિવાસ સ્થાને મોકલી આપ્યા. ઘરે મારી પત્નીએ તેમને આવકાર આપી બેસાડ્યા, ખબરઅંતર પૂછ્યા ને પાણી આપ્યું. પાણી પીવાનો બહેને ધરાર ઇનકાર કર્યો. વિમાસણમાં પડેલ મારી પત્નીએ વિવેક ભાવનાથી પૂછ્યું, "તો પછી ચા બનાવું ?" ખુબજ સીફતાઈથી બહેને જવાબ આપ્યો, "રહેવા દો બહેન. ચાપાણીની માથાકૂટ ન કરશો. અમે બ્રાહ્મણ છીએ.....!?!  ડઘાઈ ગએલ મારી પત્ની વિસ્મય ચહેરે, અચંબા ભરી નજરે તેમને જોઈ રહી. આવેલ કામ અંગે થોડી વાતચિત કરી અરજીપત્ર આપી બહેન રવાના થઇ ગયા.

એ અઠવાડીએ હું મારા બાપુને મળવા ગયો ત્યારે મેં તેમને આ અંગે વાત કરી. પ્રતિક્રિયામાં તેમણે એક હળવું હાસ્ય કર્યું પણ તુરંત મૌન થઇ ગયા. મિશ્રિત લાગણીઓ સહ તેમનું આ ગહન મૌન તથા માર્મિક હાસ્ય હું પામી ગએલો. સમાજવ્યવસ્થામાં જ્ઞાતિપ્રથાને લઈ થતા અન્યાયો સામે મારા બાપુ આજીવન ઝઝૂમેલા. એક ઊંડો શ્વાસ લઇ, આંખો બંધ કરી, ધ્યાનમગ્ન થઇ ખુબજ ગંભીરપણે તેમણે મને કહ્યું, "જો બેટા, એ ભાઈની શૈક્ષણિક લાયકાત તારી સંસ્થાના ધારાધોરણો પ્રમાણે નિમણુક માટે યોગ્યતા પામતી હોય તો, તટસ્થ, ન્યાયી અને નિષ્પક્ષપણે તારી ફરજ બજાવજે અને તારી જવાબદારી નિભાવજે. એ બાબતે લગીરેય કોઈ ભૂલ ન કરતો અને રહી વાત એ બહેનની તો સાંભળ." અને તેમણે મને એક ખુબજ રસપ્રદ અને અર્થસભર વાત કહી જેનો હું નજરોનજર સાક્ષી હતો........

੧૯૮૨માં મારા બાપુ આણંદ નગરપાલિકાની ચુંટણીમાં ક્રિશ્ચિયન બહુમતી ધરાવતા અમારા વિસ્તારમાંથી ચુંટણી લડેલા. આ વોર્ડમાં વર્ષોથી, ખુબ ધનિક અને પોલીટીકલી પ્રતિષ્ઠિત એક ભાઈ ઉમેદવારી કરતા અને કાયમ ચુંટણી જીતતા. અને તે બીજું કોઈ નહિ પણ વર્ષોથી આણંદ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂકેલ શ્રી. બાબુભાઈ ગિરધરભાઈ પટેલ. બહુ મોટી હસ્તી. મારા બાપુ વિષે તેમને ઝાઝી જાણકારી નહિ પણ સાંભળેલું ખુબ એટલે એક દિવસ સામે ચાલીને તેઓ મારા બાપુને મળવા આવેલા. એ વખતે અમે સ્કુલની નજીક એક સોસાયટીમા અમારા પોતાના મકાનમાં રહીએ. આણંદ નગરપાલિકાના પ્રમુખ અમારે ઘરે આવ્યા છે એ વાત જાણી સોસાયટીના લોકો અમારા ઘર આગળ એકત્રિત થઇ ગયેલા. ઘરમાં અમેય આઘાપાછા થઈએ પણ મારા બાપુનું પેટનું પાણી ન હાલે.

ઉનાળાના દિવસો. કાળઝાળ ગરમી પડે. બેઠક ખંડમાં બાબુભાઈને મારા બાપુએ આવકાર્યા, ' આવો બાબુભાઈ, બેસો, કેમ છો ? શું લેશો ચ્હા....પાણી ? બાબુભાઈ બોલ્યા, ' સખત ગરમી પડે છે જોસેફભાઈ, ઠંડુ પાણી આપો પહેલા. મારા બાપુએ કહ્યું,' બાબુભાઈ, મારા ઘરે ફ્રીઝ નથી. માટલાનું પાણી છે. ચાલશે ? પ્રથમ મુલાકાતમાંજ બાબુભાઈ મારા બાપુની વાણી અને વિચારોથી પ્રભાવિત થઇ ગયેલા. તેમને લાગેલ કે મારા બાપુ જેવી વ્યક્તિ આણંદ નગરપાલિકાના સભ્ય હોવી જરુરી છે. એટલે તેમણે મારા બાપુને અંગત વિનંતી કરેલ કે જોસેફભાઈ તમે બીજા કોઈ વોર્ડમાંથી ઉભા રહો ને હું તમને જીતાડી આપીશ. કારણ બાબુભાઇને ખબર હતું. તોય મારા બાપુ ચૂંટણી લડેલા અને હારી ગયેલા એજ વોર્ડમાંથી. પણ બાબુભાઈ સજ્જન માણસ હતા. પ્રમુખ બન્યા બાદ તેમણે મારા બાપુને આણંદ નગરપાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન પદે નીમેલા........

વાતને અંતે અમે બંને મૌન થઇ ગયા. હું તેમના ચહેરા ભણી તાકી રહેલો. મારી જીજ્ઞાસાવૃત્તિ તેઓ કળી ગયા, બોલ્યા, ' બાબુભાઈ શિક્ષિત અને સમઝદાર વ્યક્તિ હતા. ગામડેથી આવેલ એ બહેન બે ચોપડીય ભણેલ નથી. તેનું જ્ઞાન, તેની સમઝ ગામડે રહેતા તેના સમાજ પુરતી સીમિત છે. શિક્ષણને અભાવે તેનું કુટુંબ-સમાજ પ્રગતિ નથી સાંધી શક્યો તેની માનસિક લઘુતાગ્રંથી અનુભવે છે. પણ જ્ઞાતિની ગુરુતાગ્રંથી નથી છોડી શકતી. ચક્લાશીના આપણા ઘરની બાજુવાળા આપણા જ મકાનમાં તે બહેન ભાડેથી રહે છે. જીવન નિર્વાહ માટે હવાતિયા મારે છે. પણ તેની માનસિકતામાંથી બહાર નથી આવી શકતી. તેમાં તેનો નહિ પણ તેની જ્ઞાતિ આધારિત મનોવૃત્તિનો વાંક છે. અહિયાં હું શિક્ષણ અને સંસ્કાર આધારિત સમાજની વાત કરું છું, જ્ઞાતિ આધારિત સમાજની નહિ. સ્વામી સચ્ચિદાનંદે લખેલ પુસ્તક "અધોગતીનું મૂળ વર્ણવ્યવસ્થા' વાંચજે. તારી માનસિક દ્વિધાનો ઉકેલ તને તેમાંથી મળી જશે. બાબુભાઈ વિદ્વાન અને સજ્જન વ્યક્તિ હતા. પાણી પીને તેનું ઋણ દાખવ્યું. માનવધર્મ અદા કર્યો. મારા ધરમના લોકોએ મારું જ ખાઈપીને ચુંટણીમાં મારો વિશ્વાસઘાત કર્યો. તારા મોસાળથી એ બહેન એક ભરોસે એક વિશ્વાસે આવી છે. તેના વિશ્વાસનું સંપાદન કરજે તેની નિમ્ન માનસિકતાનું નહિ.'

હું સ્તબ્ધ થઇ ગયો. મારા બાપુના એ વેધક શબ્દોએ મને વિચારતો કરી દીધો. વ્યવસાયિક હોદ્દાની રુએ મારામાં ઘર કરી ગયેલ મારોય અહંકાર ઓગળી ગયો. સદભાવનાનો એમના ચહેરા પર પ્રગટતો પ્રકાશ અને આદર્શો થકી પ્રગટતુ માણસાઈનું દિવ્ય તેજ મને અંજાવી ગએલ. સમન્વય અને સમભાવનાના સામાજિક સૌહાર્દથી ચમકતું તેમનું મુખડું મારા હૃદયચક્ષુ ભર્યા નયને હું દિગ્મૂઢ થઈ, ગર્વભેર જોઈ રહ્યો હતો.


આત્મવિશ્વાસ અને અહંકારમાં ભેદ છે. અહંકાર અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. વ્યક્તિમાં રહેલી ક્ષમતાઓના જ્ઞાનથી તેનો આત્મવિશ્વાસ વધે છે. દ્રઢવિશ્વાસ વ્યક્તિના દ્રષ્ટિકોણ, ભાવનાઓ તથા કર્મોને પ્રભાવિત કરે છે. વસ્તુતઃ એ આત્મવિશ્વાસ વ્યક્તિત્વને ઘણા પ્રબળ રૂપે પ્રભાવિત કરે છે. સત્યનું આપણું જ્ઞાન આપણા પોતાના જ્ઞાન સુધી સીમિત રહે છે. જ્ઞાનમાં વૃદ્ધિની સાથે જ પરમ સત્ય વિશેની આપણી ધારણા બદલાઈ જાય છે. જ્ઞાનપ્રાપ્તિની તૃષ્ણા અને જીવનના પરમસત્યની શોધની તેમની પ્રબળ ઈચ્છાને લઈને, તેમજ જીવનમાં હમેસ્સા નવું જાણવાની, જોવાની અને કંઈક નવું કરવાની તીવ્ર તમન્નાથી પ્રેરાઈને તેમણે ૧૯૮૮, સપ્ટેમ્બર માં જીવનનો પ્રથમ વિદેશ પ્રવાસ કરેલો.

ઇંગ્લેન્ડ અને અમેરિકાની તેમની યાત્રા દરમ્યાન તેમણે આ દેશોની સામાજિક વ્યવસ્થા અને રહેણીકરણીનો ખુબ ઊંડો અભ્યાસ કરેલો. વિદેશ પ્રવાસ દરમ્યાનના તેમના અનુભવો અમને તેઓ પત્રો ધ્વારા જણાવતા. અમેરિકામાં વસતા તેમના એક ધનિક પાટીદાર મિત્રે તેમને અમેરિકા કાયમી વસવાટ માટે ઓફર કરેલી. જેનો તેમણે ખુબજ સ્વાભાવિકણે નમ્રતાથી આદરપૂર્વક અસ્વીકાર કરેલો. ભૌતિક સુખ કે વૈભવ તેમને કદી પ્રભાવિત નહિ કરી શકેલા. પણ સામાજિક સદભાવના, સાહિત્યિક તૃષ્ણા અને માતૃભૂમિ માટે કંઈક કરી છૂટવાની તમન્ના ને તેમને વધારે મહત્વ આપેલું. વિદેશ યાત્રા બાદ, તેમની તેજાબી કલમ અને સામાજિક નીડરતા તેમના જાહેર કાર્યોમાં ઓર નીખરી આવેલા. તેમની નવલકથા " આંગળિયાત " માટે તેમને ૧૯૮૮ માં ગુજરાત સાહિત્ય અકાદમી તથા ૧૯૮૯ માં રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો દેશનો શ્રેષ્ઠ અને સર્વોચ્ચ પુરષ્કાર મળેલો. 'મારું તીર ધાર્યા નિશાને વાગે છે' એવા કટાર લેખથી વિજયી ટંકાર તેમણે અખબારો અને અનેક સામયિકોમાં ત્યારે કરેલો.

સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી. ઉમાશંકર જોશીએ " આંગળિયાત " ના ઓવારણા લેતા લખ્યું હતું, ' જોસેફ આંગળિયાતને નહિ પણ આંગળિયાત જોસેફને ઉજાગર કરે છે'. " આંગળિયાત " ના સર્જન ધ્વારા મારા બાપુ ગુજરાતી સાહિત્યમાં સમસંવેદી સર્જક તરીકે માનવસંવેદનાના વાહક અને એક કલ્યાણકારી માનવઆદર્શ બની ગયેલા.                            ક્રમશઃ .......

Saturday, 18 October 2014

જોસેફ.........મારા બાપુ.


ચોથા ધોરણમાં ભણતો ત્યારે વર્ગશિક્ષકે ગુજરાતી વિષયમાં પત્રલેખન શીખવાડેલું. એ વર્ષે ઉનાળાની રજામાં મારા બાપુ ભોપાલ ગયેલા, 'બી.એડ' ના વધુ અભ્યાસ અર્થે. જિંદગીનો પ્રથમ કાગળ ત્યારે મેં મારા બાપુને લખેલો. સંબોધન કરેલું, " પૂજ્ય પિતાશ્રી ". કાગળમાં મેં બાળમાનસે, મારા બાપુ પ્રત્યેના મારા પ્રેમને, એક અનોખી ભાવનામાં વ્યક્ત કરેલ. સાથે રહેતા બધા સહપાઠીઓને પત્ર  વંચાવી મારા બાપુ ભાવ વિભોર થઈ  ગયેલા. પરત ફર્યા બાદ ઘરે અને સ્કુલમાં, પત્રનો ઉલ્લેખ કરી મારી ભાવનાઓની તેમણે સહર્ષ નોંધ લીધેલી. હું ખુબ હરખાયેલો. બાળમાનસે રુદયપટે અંકારાયેલા અઘાટ પિતૃપ્રેમને વ્યક્ત કરવાનો આ હતો મારા બાપુ સાથેનો મારો પ્રથમ અનુભવ.

એક પ્રભાવશાળી, વિદ્વાન અને લોકપ્રિય વ્યક્તિ તરીકે તેમને હું બચપણથી અનુભવતો આવ્યો છું. ધીર ગંભીર મુખ મુદ્રા ધરાવતા મારા બાપુ વ્યવસાયે શિક્ષક પણ માંહ્યલો એમનો એક લેખક અને લોકસેવાનો. જાહેર જીવનમાં તેમનું સામાજિક કૌશલ્ય અને વ્યવહારિક કુશળતા ખુબ વખણાતી.  લેખન  ક્ષેત્રે રાષ્ટ્રીય  કક્ષાના  સાહિત્યકાર  લેખાયા  તોય  સમાજને છેક છેવાડે ધકેલાઈ ગયેલ શોષિત જીવતરો પ્રત્યે સદા ચિંતિત રહેતા મેં તેમને કાયમ જોયા છે.

મારા સંસ્મરણોમાં ઘરે મેં એમને એક પ્રેમાળ પિતા તરીકે કાયમ અનુભવ્યા છે એટલે નાનપણથી જ મને તેમનો ભારે લગાવ. સમજણો થયો ત્યારથી રોજ સાંજે મારા ઘરની બહાર પગથીયા પર બેસી એમના આવવાની રાહ જોતો. નીચેથી પટલી વાળેલું ટેરીકોટનનું પેન્ટ, બોન્ટેક્ષ કોલરનું કોટન શર્ટ, ખભે બગલ થેલો અને કાળી ફ્રેમવાળા ચશ્માં પહેરેલ મારા બાપુ, હર્ક્યુલીસ સાયકલ પર સાંજે સ્કુલની નોકરી બાદ, ધાર્મિક-સામાજિક જવાબદારીઓ તથા અન્ય કાર્યો નીપટાવી ઘરે આવતા. થાકેલા હોય તોય મને સાયકલ પર બેસાડી એક આંટો લગાવે. હું રાજીના રેડ થઇ જતો ને બદલામાં સાયકલ સાફ કરી દેતો. વાત્સલ્યપૂર્ણ પિતાની આ છબી કાયમ માટે મારા બાળમાનસ પર અહીં અંકિત થઇ ગયેલી. બાલ્યવસ્થામાં મારા સ્મરણપટે જડાયેલી અવિસ્મરણીય અને ઘેરી છાપ ફક્ત મારા બાપુની છે. 
આઠ ભાઈબહેનોનું અમારું કુટુંબ. મારા બાપુને આણંદની ઝેવિયર્સ સ્કુલમાં શિક્ષકની નોકરી. બાળપણમાં માંનો અને એકવીસ વરસની ઉંમરે બાપનો સહારો તેમણે ગુમાવી દીધેલો.એ વખતે અમે સ્કુલની નજીક આવેલ છ હારબંધ મકાનોની એક કોલોનીમાં ભાડેથી રહેતા. મકાન સિમેન્ટના પતરાની છતવાળા અને ખુબ સાંકડા. માંડ માંડ અમારી સગવડતાઓ એમાં સચવાતી. મર્યાદિત આવકમાં અમારું ભરણ પોષણ ઉપરાંત તેમના ભાઈ-બહેનોની જવાબદારી. ઘરખર્ચના બોજને પહોંચી વળવા મારા બાપુ ખુબજ કરકસરથી ઘર ચલાવતા. મકાનની સામે એક નાની વાડી ત્યાં અમે એક બકરી અને થોડી મરઘીઓ પાળેલી, જેનું દૂધ અને ઇંડા અમારા આહારનો એક ભાગ બની રહેતા.

એક રૂમ રસોડા વાળું અમારું એ ઘર રાત્રે અમારા સૌનું શયનકક્ષ બની જતું. મરઘીઓની કુકડે કુક અને બકરીની બે બે સવારની અમારી મીઠી નીંદરમાં  કાયમ ખલેલરૂપ બનતી. પણ મારા બાપુ વહેલી પરોઢે ઉઠી જતા અને સૂર્યોદય પહેલા શરુ થતો તેમનો દિવસ સુરજ આથમે તોય પૂરો ના થાય એટલી દોડધામ કરતા. બાપીકા દેવાના ડુંગર તળે દટાયેલા મારા બાપુ ઘર ખર્ચને પહોંચી વળવા એક ફૂલ ટાઇમ અને બબ્બે પાર્ટ ટાઇમ નોકરીઓ કરતા.

સવારના ચાર વાગ્યે  આણંદ રેલ્વે સ્ટેશનથી ગોધરાગાડી પકડી તેઓ ડાકોર ભવન્સ કોલેજમાં પ્રોફેસરની, ત્યાંથી અગિયાર વાગ્યે પરત આવી આણંદ ઝેવિયર્સ સ્કુલમાં શિક્ષકની, બપોરે એકાદ-બે ફ્રી પીરીયડ તથા રીશેસના સમયે સાયકલ લઇ રેલ્વે દાદર ચઢાવી આણંદની એમ બી પટેલ સાયન્સ કોલેજમાં ગુજરાતી વિષયના લેકચરર તરીકે ફરજ બજાવતા. સાંજે સ્કુલ બાદ ધર્મસેવા, સમાજસેવા અને અન્ય કૌટુંબિક જવાબદારીઓ પતાવી મોડી સાંજે ઘરે પરત ફરતા. આ બધી જવાબદારીઓમાંથી પણ સમય ફાળવીને તેઓ એમ.એ.બી.એડ. સુધીનું ભણેલા. કૌટુંબિક જવાબદારી સહ ઉચ્ચશિક્ષણ પામવાની તેમની આ લગન મારા માનસપટ પર ત્યારેજ કોતરાઈ ગયેલી. જીવનમાં સખત પરિશ્રમ સાથે સંઘર્ષના પાઠ હું તેમની પાસે અહીંથી શીખેલો.

જેમ જેમ મોટો થતો ગયો  તેમ તેમ હું મારા બાપુને વધુ ઓળખતો અને તેમની વધુ નજદીક આવતો ગયેલો. ૧૯૭૬-૭૭ ના અરસામાં અમે મોટા ત્રણ ભાઈબહેનો હાઈસ્કુલનું શિક્ષણ પૂરું કરી કોલેજમાં પ્રવેશેલા. ત્રણ-ત્રણ જણની કોલેજની ફી ભરવા મારા બાપુએ દેવું કરેલું અને મારી માંના દાગીના ગીરે મુકેલા. હું એન્જીન્યરીંગ કોલેજમાં ભણતો હોઈ  મને સાયન્ટીફીક કેલ્ક્યુલેટરની ભારે જરૂર. એ જમાનામાં સાયન્ટીફીક કેલ્ક્યુલેટર ખુબ મોંઘુ મળે. મારી જરૂરિયાત પ્રત્યેનું તેમનું અર્થસુચક મૌન હું સમજી શકતો હતો. પરંતુ, પરીક્ષાના દિવસોમાં તેમણે મને એક જુના સાયન્ટીફીક કેલ્ક્યુલેટરની વ્યવસ્થા ક્યાંકથી કરી આપેલી. 

મેં ખુબ જ મહેનત કરી મન લગાવીને હોંશે હોંશે પરીક્ષા આપેલી. પરિણામ આવી ગયેલું અને તે જાણવા ઉત્સુક મારા બાપુ સાંજે ઘરે આવ્યા ત્યારે, હું મારા ઘરની બહાર ગોરાસાંબલીના ઝાડ નીચે નિરાશવદને બેઠેલો. હું બે વિષયમાં નપાસ થયેલો પણ મને 'એટીકેટી' મળેલી. પરિસ્થિતિ જાણીને ખુબજ ક્રોધે ભરાયેલા મારા બાપુ આખી કોલોનીના સાંભળતા ઉગ્ર અવાજે મને ખુબ બોલ્યા. મારી આંખમાં આંસુ આવી ગયા. મેં ખુબ મહેનત કરેલી છંતા આવા પરિણામથી હું પણ નિરાશ થઇ ગએલો. 

મારું મન માનતું નહોતું. કોલેજમાં જઈને મેં મારા ખાસ સહપાઠીને વાત કરી.અમે બંને જે તે વિષયના અધ્યાપકોને મળ્યા. અંતે તારણ એવું આવેલું કે મારી કોઈ ભૂલ નહોતી પણ મેં જે કેલ્ક્યુલેટર વાપરેલું તે ડિફેકટીવ હતું. આ વાતની જયારે મારા બાપુને ખબર પડી ત્યારે તેઓ  ખુબ દુખી થઇ ગએલા. તેમણે મને કશુજ નહિ કીધેલું પણ તેમનું આ વ્યથિત મૌન મારા દિલને કોરી ખાતું હતું. 

એ વખતે તેઓ આણંદની એમ. બી. પટેલ સાયન્સ કોલેજમાં પાર્ટ ટાઇમ લેકચરર તરીકે નોકરી કરતા. એમની પાસે ફક્ત એક જ જોડી બાટાના મોકાસીનો શુઝ જે પહેરી તેઓ સવારે કોલેજ જતા અને ત્યાંથી બારોબાર સ્કુલમાં. મારે ભાગે એક જોડી સ્લીપર આવતા જે પહેરી  હું કોલેજ જતો. મને કોલેજમાં શુઝ પહેરીને  જવાનું ખુબ મન થતું અને મને એમના શુઝ પહેરવા આવી પણ રહેતા એટલે સ્કુલમાં જઈ હું તેમના શુઝ માંગતો. મને ખબર છે  તેમણે કોઈ દિવસ મને તેમના શુઝ માંગતા કે પહેરતા ટોકેલો નહિ. 

પણ એ વખતે ઘણા દિવસો સુધી હું તેમના શુઝ માંગવા સ્કુલે નહિ ગએલો. એક દિવસે સવારે હું કોલેજ જવા નીકળ્યો તો મારા આશ્ચર્ય વચ્યે મેં તેમના શુઝ ઓસરીમાં પડેલા જોયા. મારા લીધે મારા બાપુ સ્લીપર પહેરી કોલેજ ગએલા મને ખુબ લાગી આવેલું. હું મન લગાવીને ભણેલો અને કોલેજના છેલ્લા વર્ષમાં પ્રથમ દશ - ટોપ ટેન માં ઉતીર્ણ થયેલો. 

મિત્રો, સગાવ્હાલા અને કોલોનીમાં ઘેર ઘેર પેંડા વહેંચાયેલા. મારા બાપુ ગર્વભરી નજરે મને નિહાળી રહેલા. કોલેજ કાળના મારા શૈક્ષણિક જીવન-સંઘર્ષમા એક સાચા સલાહકાર અને માર્ગદર્શક તરીકે મારા બાપુ મારા સહભાગી બનેલ. જીવનમાં સાદગી અને કરકસર સાથે શૈક્ષણિક મૂલ્યોનું મહત્વ હું તેમની પાસેથી આમ શીખેલો. યુવાનીના મારા ઘડતરમાં પ્રેરણા અને પાયારૂપ બનેલ તેમનું આ અમૂલ્ય યોગદાન મને ખુબજ પ્રભાવિત કરી ગયેલ.

સમાજસેવક  .........  મારા બાપુ 

સ્વભાવ અને વર્તણૂક થકી જ માણસ ‘સજ્જન’ તરીકે સમાજમાં ઓળખાય છે. સજ્જનો સ્વભાવથી જ પરોપકારી હોય છે. તેઓ કરુણા અને ક્ષમાની મૂર્તિ હોય છે. ત્યાગ, સમર્પણ જેવા ગુણોને વરેલા હોય છે. બદનામી વહોરીને પણ બીજાને મદદ કરે છે. જાતને નુકસાની પહોંચાડીને પણ બીજાનું ભલું કરે છે. 

સ્વભાવે ખુબજ દયાળુ તથા પરમાર્થ અને માનવસેવાનો જીવનમંત્ર ધરાવતા મારા બાપુ જીવનમાં કોઈને પણ મદદરૂપ થવાની તક ક્યારેઈ ચુકતા નહિ. તેમના આ સ્વભાવને લઈનેજ તેઓ સમાજસેવા પ્રત્યે પ્રેરાયેલા.સમાજ સેવાની તેમને ભારે લગન અને તે તેમના જીવનનો એક અભિન્ન હિસ્સો. સામાજિક અન્યાયો અને શોષણ સામે ન્યાય માટે તેઓ આજીવન ઝઝૂમેલા. 

૧૯૭૬ ના અરસામાં ટેનેન્સી એક્ટ નું એમેન્ડમેન્ટ થયેલું. ખેડે તેની જમીનના આ  કાયદાની જોગવાઈઓ હેઠળ પેઢીઓથી જમીનદારોના શોષણ  હેઠળ ગુલામી કરતા, કાળી ખેતમજુરી પર નભતા, ગરીબી રેખા તળે કચડાતાં ખેતમજદુરોના કુટુંબોને, તેમના હક્ક અપાવવા માટે મારા બાપુએ કોર્ટ કચેરીઓના પગથીયા ઘસી નાખેલા. ન્યાય અપેક્ષિત અને શોષિત ખેતમજુરો સમય સ્થળની પરવા કર્યા વિના, ગમે ત્યારે, ઘરે કે સ્કુલે, મારા બાપુને મળવા આવી ચઢતા. સ્કુલના શિક્ષણ કાર્યમાં આ બાબતને લઈને કવચિત વિક્ષેપ પણ પડતો. આચાર્યશ્રીનો મીઠો ઠપકો પણ તેમણે ઘણી વાર વહોરી લીધેલ. પણ સમાજ સેવાના આ ઉમદા સામાજિક કાર્યમાં તેમણે ક્યારેય પાછું વાળીને જોયેલ નહિ. ઉલટાનું સામાજિક સર્વેક્ષણ તથા જ્ઞાતિપ્રથાનો  ઊંડા અભ્યાસ કરી તેમણે સમાજ સેવાના આ કાર્યને વધારે અસરકારક બનાવેલુ. 

મને યાદ છે એ સવારે હું અમારા એ સિમેન્ટના પતરાવાળા ઘરની પરશાળમાં અભ્યાસ કરી રહ્યો હતો. મારા બાપુ લેખન કાર્યમાં વ્યસ્ત હતા. એવામાં જ લઘર વઘર કપડા પહેરેલ, પરસેવે રેબઝેબ  એક ભાઈ આવી ચઢ્યા. આવતાની સાથેજ એ ભાઈ મારા બાપુના ચરણોમાં પડી ગયા. હું જોતો જ રહી ગયો. મને કઈ ખબર પડતી ન હતી. મારા બાપુએ તેને ખભેથી પકડી બેઠો કર્યો અને વાતનો દોર સાંધવાની કોશિશ કરી. ખેતમજૂર તરીકે વર્ષોથી ખેડતો હતો એ જમીન ટેનન્સી એક્ટ હેઠળ મારા બાપુએ કરેલ કોર્ટ કાર્યવાહીને લીધે તેને નામે થઇ ગઈ હતી. 

હરખનો માર્યો ખુશી વ્યક્ત કરવા તેણે કોર્ટની પોસ્ટ વાળું કવર અને એક ફાટેલી થેલી મારા બાપુને આપી, 'સાહેબ આ લો'. કવર લઇને થેલી મારા બાપુએ એમાં કશું જોયા વગર મને આપી. મેં જોયુ તો એમાં ગણીને માંડ ચાર-પાંચ  કેળા હતા. બસની ટીકીટના પૈસા નહોતા તેની પાસે. ગામડેથી ચાલતો આવેલો પણ આભાર વ્યક્ત કરવા માટે કેળા લાવેલો. મેં તેને પાણી આપ્યું.પાણી પી, પલાંઠી વાળી એક ખૂણામાં બેસી તેણે બીડી સળગાવી, ને ધન્ય ભાવે મારા બાપુ સાથે વાતોએ વળગ્યો. 

એ દ્રશ્ય આજેય મારી આંખો સમક્ષ નજરોનજર તરવરે છે. એક શ્રેષ્ઠ સામાજિક કાર્યકર તથા નિશ્વાર્થ સમાજ સેવક એવા મારા બાપુને હું નતમસ્તકે જોઈ રહ્યો હતો. સમાજસેવાની તેમની આ યશસ્વી કામગીરીને ધ્યાનમાં લઈને ત્યારની રાજ્ય સરકારે તેમને ગુજરાત રાજ્ય પછાત વર્ગ બોર્ડના સભ્ય તરીકે નિમણુક કરેલી. અને એજ અરસામાં ગુજરાતની એક પ્રસિદ્ધ સ્વૈચ્છિક સંસ્થા તરફથી શ્રેષ્ઠ સામાજિક કાર્યકર તરીકેનો ખિતાબ તેમને મળેલો. 


સંગીતના આરાધક  .........  મારા  બાપુ 

કહે છે સંગીતની સાધના અને પ્રભુની આરાધના બંને મન ને અપાર શાંતિ બક્ષે છે. સંગીતવિશારદ અને શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન ધરાવતા મારા બાપુ સંગીતના ભારે ચાહક.  " જીવન અંજલી થાજો મારું " એમનું ખુબજ પ્રિય ગીત અને "મોંઘેરા થઈને મારા મનમાં વસો" એમનું સ્વરચિત ગીત. હાર્મોનિયમ તેઓ ખુબ સરસ વગાડતા. ક્લાસિકલ સંગીતમાં નિપુણતા ધરાવતા તેઓ એક અચ્છા ગાયક પણ હતા. 

ઘરે તેઓ કવચિત મનમસ્ત થઇ, મધુર અવાજે શાસ્ત્રીય રાગની ધૂન છેડતા. આખા ઘરમાં તેમનો સુર પડઘાઈ ઉઠતો. મને ખુબ ગમતું. મન મુકીને તેમને સંભાળતો અને આવડે નહિ તોય તેમના સૂરમાં સુર પુરવાની હું કોશીસ કરતો. ત્રાંસી નજરે મને જોતા,મરક મરક હસતા ને મઝાકમાં કહેતા,"રહેવા દે ભઈ તારા આ ભેંસાસુર અવાજને વધુ તકલીફ ન આપ." 

સેન્ટ ઝેવિયર્સ સ્કુલનો દૈનિક પ્રારંભ  તેમના કંઠે ગવાયેલ પ્રાર્થનાગીત તથા હાર્મોનિયમવાદન ધ્વારા ન થાય તો કઈ ખૂટતું હોય એવુ લાગે. વર્ગમાં કવિતા ભણાવતા પહેલા તેને ગાઈ સંભળાવતા. બાજુમાંના વર્ગોનું શિક્ષણકાર્ય થંભી જતું અને સ્તબ્ધ થઇ બધા તેમને સાંભળતા. દર વર્ષે સ્કુલ ડે ની ઉજવણીમાં મારા બાપુનું એક ખાસ સ્વરચિત ગીત હોય જે કાર્યક્રમના પ્રારંભે તેમણે તૈયાર કરેલ વિદ્યાર્થીઓના ગાયકવૃંદ ધ્વારા ગવાતું. જેનો રણકાર ઉજવણી બાદ દિવસો સુધી કાનમાં ગુંજ્યા કરતો.

ધર્મમાં અખંડ શ્રદ્ધા ધરાવતા મારા બાપુએ વર્ષો સુધી આણંદ ચર્ચના ક્વાયર-ગાયકવૃંદની જવાબદારી સંભાળેલી. ૧૯૭૦ ના દાયકાની આ વાત છે. ૨૪ મી ડીસેમ્બરની મધરાતે આણંદ ચર્ચના પટાંગણમાં દર વરસે ક્રિસ્મસનો ભવ્ય ખ્રિસ્તયજ્ઞ-ઉપાસનાવિધિ થાય. આણંદ શહેરની આજુબાજુના ગામડાઓ, વિસ્તારો અને ખૂણે ખૂણેથી તેમાં ભાગ લેવા અસંખ્ય લોકો ઉમંગભેર ઉમટી પડતાં.

ક્રિસ્મસની ભવ્ય ઉજવણીરૂપ એવા આ ખ્રિસ્તયજ્ઞ માટે મારા બાપુ એક ખાસ ગાયકવૃંદ બનાવી ક્રિસ્મસના ભક્તિ ગીતોની ખુબ પ્રેક્ટીસ કરાવતા. હું અને મારા લંગોટિયા મિત્રો એ ગાયકવૃંદમાં પસંદગી પામી ગર્વ અનુભવતા. પ્રેક્ટીસ નવેંબર મહિનાથી ચાલુ થઇ જતી અને ગાયકવૃંદના સહુ સભ્યોની હાઝરી એમાં અનિવાર્ય ગણાતી. ખ્રિસ્તયજ્ઞ ચોવીસમી ડીસેમ્બરની રાતે મોટાભાગે સાડા અગિયાર ને બારની વચ્યે શરુ થઇ જતો. ૧૯૭૭ ની સાલની ક્રિસ્મસની આ વાત છે.ગાયકવૃંદમાં ભાગ લઇ રહેલ હું અને મારા મિત્રો ક્રિસ્મસ-ઈવ ઉજવવા ચોવીસમી ડીસેમ્બરની એ રાત્રે નવથી બારના શોમાં પિક્ચર જોવા ગએલા. અમને એમ કે ખ્રિસ્તયજ્ઞ ચાલુ થાય એ પહેલા આવી જઈશું. બહુ વાંધો નહિ આવે. પણ અમારી ધારણા ખોટી પડી. અમે મોડા પડેલા.

ખ્રિસ્તયજ્ઞ ચાલુ થઇ ગએલો અને ગાયકવૃંદમાં અમારી ગેરહાઝરીની ગંભીર નોંધ લેવાએલી ને મારા બાપુ ખુબજ ક્રોધે ભરાયેલા. દોડતા આવી, લપાતા છુપાતા અમે છાના માંના ધીરે રહીને ગાયકવૃંદમાં પાછળ ગોઠવાઈ ગયા. અમને એમ કે કોઈને ખબર નહિ પડે. પણ ગુસ્સાથી પહોળી થઇ ગએલી આંખોની એમની ધારદાર નજર અમે ચૂકાવી ન શક્યા. મોડા પડ્યાની ભૂલ અને દુખની લાગણી અનુભવતા, શરમના માર્યાં શિર ઝુકાવીને અમે ગાયકવૃંદ સાથે ખ્રિસ્તયજ્ઞમાં ભાગ લીધો. ખ્રિસ્તયજ્ઞ આગળ વધ્યો અને ખ્રિસ્તપ્રસાદ વેળાએ એમનુ એ લોકપ્રિય ગીત એમના મધુર અને ઊંચા અવાજે ચારેકોર ગુંજી ઉઠ્યું.....અંધારા... ભેદાય ગયા.. ને..ઝળહળી ઉઠી રાત..તારાના ટોળાઓ માંહે ફરવા લાગી વાત ...!

ઇસુ જન્મની વધાવણી હરખાતા, ગાતા અને ગીતનો બોલ ઝીલી લેવા તેમણે મધુર વદને અમારી પર એક મીઠી અને ભાવુક નજર નાખી. જાણે કશુજ નથી બન્યું એવી માફ કરતી તેમની અમીદ્રષ્ટિ પામી અમે ખુશીના માર્યાં બમણા અવાજે સૂરમાં સુર પુરાવ્યો......આજે જન્મ્યો તારણહારો....પ્રાચીમાં થયો તારાનો ઝબકારો રે.....આજે જન્મ્યો ....તારણહારો ....! મને યાદ છે મોડા પડ્યાનું દુખ અનુભવતા અમે સૌએ તેમનું એ પ્રિય ગીત છેક છેલ્લે સુધી મન મુકીને પૂરી લગનથી ગાયેલું કે કદાચ અમારી લગનથી પીગળી તેઓ અમને માફ કરી દે.

ખ્રિસ્તયજ્ઞ પતી ગયેલો. ગાયકવૃંદના સભ્યો મારા બાપુને ક્રિસ્મસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા. પસ્તાવાની લાગણી અને દ્વિધા અનુભવતા અમે એક ખૂણામાં ઉભા થઇ રહેલા. સૌ કોઈને ક્રિસ્મસની શુભેચ્છા પાઠવતા મારા બાપુ સામે ચાલી અમારી પાસે આવ્યા. મસ્ત મને અમને સૌને ભેટી 'મેરી ક્રિસ્મસ' ની ભાવભીની શુભેચ્છાઓ પાઠવી. અમે હરખાઈ ઉઠ્યા અને સામે તેમને પણ અમે શુભેચ્છાઓ પાઠવી.

કશાપણ મનવિગ્રહ વગર હસતા ચહેરે તેમણે એમની વિશિષ્ઠ શૈલીમાં પણ મઝાકમાં અમને વ્યંગ્ય બાણ માર્યું ..... "ક્યાં ગઇતી મારી ગાયિકાઓ.... પિક્ચર જોવા ? " સંગીત અને સાહિત્યના સંગમથી જીવનને સુરમય કરી દેતા એક શ્રેષ્ઠ સંગીત શિક્ષક અને દરિયા જેવું વિશાળ દિલ ધરાવતા મારા બાપુને હું ભાવ વિભોર થઇ જોઈ રહ્યો હતો........!

ક્રમશઃ.......................

Thursday, 9 October 2014

મારો..........પ્રેમનો અનુભવ !



બચપણથી માંડીને આજ સુધી પ્રેમને અનેક સ્વરૂપે અનુભવ્યો છે, માણ્યો છે મેં.
પ્રેમ મારો પર્યાય છે મારી પિપાસા છે.

બાલ્યવસ્થામાં પિતાની પડખે બેસી રસતરબોળ થઇ સાંભળેલા એ પિતૃપ્રેમના સંવાદને આજે પણ ભૂલી શક્યો નથી. સાડા ચાર વર્ષ થયા બાપના અવસાનને પણ મારા હૃદયમાં તો તેઓ આજે પણ જીવંત છે.અનંત અવકાશમાં આજેય તેમનો ચહેરો નિરંતર નિહાળુ છું
અને વાતો કરું છું.
વતનથી માઈલો, દર્જનો દૂર છું છંતા મારી માંને કાયમ મારી નિકટ નિહાળું છું.નાનપણમાં માની સોડમાં લપાઈને માણેલ એ માતૃપ્રેમના સ્વાદને આજે પણ વિસર્યો નથી. કોઈ પણ સ્નેહીજનની માંને મળું તો હૃદયમાં ફરીથી એ સ્નેહ્ધારાને વહેતી જોઈ શકું છું અને વ્યથિત થઇ જાઉં છું.

બહેન પ્રત્યેના પ્રેમને પણ મેં બરાબર જાણ્યો અને માણ્યો છે. કન્યાવિદાય ટાણે બાવરો થએલ હું સાસરે ગયેલ બહેન માટે આખી રાત રડયો છું."બહેન" એ મારા માટે માત્ર અભિવ્યક્તિ નથી, સજીવ અનુભવ છે. એ જ રીતે 'ભાઈ' એ પણ મારા માટે માત્ર શબ્દ નથી. એક સંવેદના, એક સહાનુભૂતિ છે. એ અમૂલ્ય સંબંધ માટે હું કંઈ પણ કરી છૂટવા સમર્પિત છું.

પ્રેમિકાને પત્ની સ્વરૂપે પામીને તેના પ્રેમને મેં તેની સમર્પણની ભાવનામાં વ્યક્ત થતો જોયો છે. વિકટ પરિસ્થિતિઓમાં હું એકલો નથી તેની ખાતરી કરાવતી મારી દીકરીના પ્રેમને મેં મારા સંઘર્ષમાં સહાયરૂપ થતો અનુભવ્યો છે. મારા ફક્ત એક આલિંગન માટે તરસતા પુત્રના પ્રેમને મેં છેક અંદરથી અનુભવ્યો છે. મિત્રોના પ્રેમને પણ મેં ખૂબ જ માણ્યો છે કે તે હજુ પણ જીવંત છે.

અને આથી જ પ્રેમના પ્રત્યેક આરોહ-અવરોહને હું અંદરથી જાણું છું.
પ્રેમના તૂટવાથી થતું દર્દ હું જાતઅનુભવથી જોઈ શકું છું.
પ્રેમની કોઈ પણ વાત લખવી હોય તો મને એમાં ડૂબી જવાનું ગમે છે.
મારા માટે પ્રેમનો અનુભવ કાયમ અવિસ્મરણીય હોય છે.
હું મારી સાથેના એક પણ સંબંધને કે એક પણ પાત્રને ભૂલ્યો નથી.
પ્રેમથી ભરેલા હરકોઈ સંબંધ સામે હું સદા નતમસ્તક છું.

જેને વર્ષો સુધી પ્રેમ કર્યો હોય, સાચા દિલથી જેની સાથે જોડાયા હોઈએ
એવી વ્યક્તિને સંપૂર્ણ મુક્ત કરી,
અંદર બહારથી છૂટા પડીને સાવ અજાણ્યા થઈને જીવવું કે, એક જ શહેરમાં ને એક જ જગતમાં એકબીજાને ભૂલીને જીવવું, જાણે જીવનની કિતાબમાં આવી કોઈ ઘટના બની જ નથી એ રીતે, એમાંથી એક પ્રકરણ કાઢી નાખવું કે પાનાઓ ફાડીને એ ખંડિત કિતાબને જોવી કે જીવવી,
એ અતિશય અઘરી અને અશક્ય બાબત છે મારા માટે .
પ્રેમના માર્ગ પર ચાલતાં ભલે ગમે તેટલું દર્દ મળે, કેટલીક વ્યક્તિઓ વચ્ચેથી સંબંધ છોડીને ભલે ચાલી જાય તો પણ પ્રેમ એ છોડવા જેવી બાબત નથી.

પ્રેમના અનુભવ બળ જેવું આ જગતમાં કોઈ બળ નથી.
' ભવાટવિ ' માં મળેલ પ્રેમના મારા આ શાશ્વત વરદાનનો હું સદૈવ ઋણી છું.......રહીશ.

મધુરમ મેકવાન.
બાપુ જયંતી, નવમી ઓક્ટોબર, ૨૦૧૪,
બ્રામ્પટન. કેનેડા.